નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લા બે દાયકાથી મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન ટીમને અનેક દિગ્ગજ ખેલાડી પણ મળ્યા તો સારા કોચ પણ મળ્યા. પરંતુ આ દરમિયાન મળેલા કોચ ગ્રેગ ચેપલનું નામ સાંભળીને આજે પણ ભારતીય ક્રિકેટરોની સાથે ફેન્સ લાલઘૂમ થઈ જાય છે. ગ્રેગ ચેપલના સમય દરમિયાન ભારતીય ક્રિકેટમાં ઘણી ઉથલ-પાથલ થઈ હતી. આ દરમિયાન ટીમનો હિસ્સો રહેલા સ્પિનર હરભજન સિંહે આ કાર્યકાળને ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો છે.


ચેપલે શું કહ્યું હતું

હરભજને બુધવારે એક ટ્વિટર પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં આમ કહ્યું હતું. ચેપલે તાજેતરમાં એક લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, ધોનીને બેસ્ટ ફિનિશર બનાવવામાં મારો મોટા હાથ હતો. ચેપલે કહ્યું, મેં ધોનીને હવામાં શોટ રમવાના બદલે ગ્રાઉન્ટ શોટ્સ રમવાનો પડકાર આપ્યો અને મેચ ફિનિશર બનવું પડશે તેમ જણાવ્યુ હતું.

હરભજને શું કર્યુ ટ્વિટ

જેના પર હરભજને ટ્વિટ કરીને કહ્યું, તેમણે ધોનીને ગ્રાઉન્ડ શોટ રમવાનું કહ્યું કારણકે કોચ ખુદ બધાને (ખેલાડીઓને) મેદાનથી બહાર કરી રહ્યા હતા. તે અલગ પ્રકારની રમત રમતા હતા. તેની સાથે હરભજને હેશટેગમાં લખ્યું- ગ્રેગની જેમ ભારતીય ક્રિકેટના સૌથી ખરાબ દિવસ.


રાઈટ બાદ બીજા વિદેશી કોચ હતા ગ્રેગ ચેપલ

ગ્રેગ ચેપલ 2005થી 2007 વર્લ્ડકપ સુધી ભારતીય ટીમના કોચ રહ્યા હતા. તે જોન રાઈટ બાદ ભારતના બીજા વિદેશી કોચ હતા. આ દરમિયાન કેપ્ટન રહેલા સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપથી હટાવાની સાથે ટીમમાંથી બહાર કરવા પર સૌથી વધારે બબાલ થઈ હતી. આ ઉપરાંત ખેલાડીમાં અસુરક્ષાની ભાવના પણ વધી ગઈ હતી.

2007 વર્લ્ડકપમાં ભારતનો કંગાળ દેખાવ

ચેપલના કોચિંગમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપમાં હિસ્સો લેવા ગઈ હતી. જ્યાં ટીમ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ જતાં તેનો કાર્યકાળ વધારવામાં આવ્યો નહોતો.

હરભજન સિંહ પહેલા પણ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ સહિત તે સમયના અનેક ક્રિકેટરો ચેપલના કાર્યકાળની આલોચના કરી ચુક્યા છે. તમામે આ સમયને ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો.