મુંબઈઃ ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાનારી ત્રણ ટી-20 મેચની સિરિઝ 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.


ભારત અને વિન્ડીઝ વચ્ચે અમદાવાદમાં ત્રણ વન ડે મેચની શ્રેણી પણ રમાવાની છે કે જે ખાલી સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે પશ્ચિમ બંગાળની બંગાળની સરકારે કોલકાતામાં રમાનારી ટી-20 મેચોમાં સ્ટેડિયમ ક્ષમતાના 75 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવાની છૂટ આપી છે. પશ્ચિમ  બંગાળ સરકારના નિર્ણયને પરિણામે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં આશરે 50 હજાર પ્રેક્ષકોને મેચમાં પ્રવેશ મળે તેવી શક્યતા છે.


ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાનારી આ ત્રણ ટી-20 મેચની સિરિઝનું પ્રસારણ ક્રિકેટ ચાહકો ટીવી પર પણ માણી  શકશે.  ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તેથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.


અમદાવાદમાં ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવાની જાહેરાત કરતાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં, અમદાવાદમાં રમાનારી ભારત-વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની મેચો બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ રમાશે. ભારતીય ક્રિકેટરોનું અમદાવાદ આગમન શરૂ થઈ ગયું છે જ્યારે વિન્ડિઝની ટીમ પણ એકાદ દિવસમાં અમદાવાદ આવી પહોંચશે તે નક્કી છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પૂર્ણ કર્યા બાદ વિન્ડિઝના ક્રિકેટરો ભારત પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે.


અન્ય એક ટ્વીટમાં અમે વિન્ડિઝના ભારત પ્રવાસની વન ડે શ્રેણીના આયોજન માટે તૈયાર છીએ. ભારત અને વિન્ડિઝ વચ્ચે તારીખ 6 ફેબ્રુઆરીએ રમાનારી વન ડે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સીમાચિહ્નરૃપ બની રહેશે, કારણ કે તે ભારતની એક હજારમી વન ડે મેચ હશે. ભારત આ સિધ્ધિ મેળવનારી વિશ્વની સૌપ્રથમ ટીમ બનશે.