ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારને કારણે ભારતીય ટીમ સિરીઝ પણ હારી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 2012માં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી. એટલે કે કુલ 12 વર્ષ બાદ ભારતીય ટીમને આવી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને છેલ્લી વખત એમએસ ધોનીની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


કેવો રહ્યો મેચનો હાલ  ? 


બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચની વાત કરીએ તો આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 113 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 79.1 ઓવરમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને તે 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે કિવી ટીમને 103 રનની લીડ મળી હતી.


ટીમ ઈન્ડિયા રન ચેઝમાં નિષ્ફળ


ટેસ્ટ મેચની ત્રીજી ઇનિંગમાં કિવી બેટ્સમેનો 103 રનની લીડ સાથે મેદાનમાં આવ્યા હતા અને 255 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. આ સાથે તેણે ભારતીય ટીમને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો ટીમ ઈન્ડિયા પીછો કરી શકી ન હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો અને ભારતીય ટીમને હરાવી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની હાલત ઘણી ખરાબ જોવા મળી રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનોએ આ શ્રેણીમાં ઘણા નિરાશ કર્યા છે.


આ ખેલાડીઓ જીતના હીરો રહ્યા


ન્યુઝીલેન્ડની જીતમાં તેમના સ્પિન બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. ન્યૂઝીલેન્ડે સ્પિન બોલિંગના આધારે આ મેચ જીતી હતી. આ મેચમાં મિશેલ સેન્ટનરે 13 વિકેટ લીધી હતી. જેમાં તેણે પ્રથમ ઇનિંગમાં 53 રનમાં 7 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગમાં તેણે 104 રનમાં 6 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા માટે સ્પિનરોનો દબદબો રહ્યો, પરંતુ ભારતીય ટીમ બેટિંગમાં થોડી નબળી રહી. જેના કારણે તેને બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની ત્રીજી મેચ મુંબઈમાં રમાશે. જે 01 થી 05 નવેમ્બર દરમિયાન રમાશે.  


 


PHOTOS: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે કરી મસ્તી, પ્રેક્ટિસ દરમિયાન સુંદર ક્ષણો થઈ કેદ, અહી જુઓ ફોટા