IND vs WI, Sarfaraz Khan: ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. જેના માટે BCCI દ્વારા ગયા શુક્રવારે ODI અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે બોર્ડ દ્વારા ટેસ્ટ ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર અને રૂતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધૂમ મચાવનાર સરફરાઝ ખાનનું નામ ટેસ્ટ ટીમમાંથી ગાયબ હતું.


ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ ટેસ્ટ ટીમમાં સરફરાઝ ખાનનું નામ ન જોઈને BCCIની આકરી ટીકા કરી હતી. આકાશ ચોપરાએ સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું હતું કે, સરફરાઝને વારંવાર કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? તેણે કહ્યું હતું કે, બોર્ડે સરફરાઝ વિશે તેમને શું પસંદ નથી તે સાર્વજનિક કરવું જોઈએ. આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર આ વિશે વાત કરી હતી.


ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું હતું કે, “સરફરાઝે શું કરવું જોઈએ? જો આપણે છેલ્લા ત્રણ વર્ષમાં તેના આંકડા જોઈએ તો તે બાકીના કરતા ઉપર છે. તેણે દરેક જગ્યાએ રન બનાવ્યા છે. તેમ છતાં જો તે પસંદગી નથી કરવામાં આવતી... આનાથી શું સંદેશ જાય છે?


આકાશ ચોપરાએ વધુમાં કહ્યું હતું કે, આ એક પૂછવા જેવો પ્રશ્ન છે. જો કોઈ અન્ય કારણ હોય, કંઈક કે જે તમને અને મને ખબર નથી તો તેને જાહેર કરો. બસ એટલું કહી દો કે તમને સરફરાઝની આ ખાસ વાત પસંદ નથી આવતી અને તેથી જ તમે તેના વિશે નથી વિચારી રહ્યા. પરંતુ આપણે નથી જાણતા કે આવી કોઈ વસ્તુ છે કે નહીં. મને નથી ખબર કે સરફરાઝને આ વિશે કોઈએ કહ્યું છે કે નહીં. જો તમે ફર્સ્ટ-ક્લાસના રનને મહત્ત્વ આપતા નથી, તો તે મોંમાં એક ખાટો સ્વાદ છોડી જાય છે.


એક નજર સરફરાઝની ફર્સ્ટ ક્લાસ કરિયર પર


મુંબઈ તરફથી રમતા સરફરાઝ ખાને અત્યાર સુધીમાં 37 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોની 54 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 79.65ની એવરેજથી 3505 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 13 સદી અને 9 અડધી સદી નીકળી છે, જેમાં તેનો હાઈ સ્કોર અણનમ 301 રન છે.


સુનીલ ગાવસ્કર પણ લાલઘુમ


સરફરાઝ ખાનની પસંદગી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ના થતા પૂર્વ ખેલાડી અને દિગ્ગજ ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કર પણ લાલઘુમ થઈ ગયા હતાં. સ્પોર્ટ્સ ટુડે સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, સરફરાઝ ખાન છેલ્લા ત્રણ વર્ષથી 100ની એવરેજથી સ્કોર કરી રહ્યો છે. તેને ટીમમાં સ્થાન મેળવવા માટે બીજું શું કરવું પડશે? તે પ્લેઇંગ ઇલેવનમાં નથી, પરંતુ તેની જરૂર છે. ટીમમાં સામેલ કરવા માટે IPLમાં પસંદગી થવી જોઈતી હતી. તેમને જણાવવું જોઈએ કે તમારી રમત અને પ્રદર્શનને માન્યતા આપવામાં આવી રહી છે. નહીં તો રણજી રમવાનું બંધ કરી દો. કહી દો કે તેનો કોઈ જ અર્થ નથી. માત્ર  IPLજ રમો અને વિચારી લો કે તમે રેડ બોલ ક્રિકેટ માટે પણ તૈયાર છો.