India Vs Australia T20 Series 2023: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી નિરાશાજનક હારને ભૂલીને ભારતીય ટીમ હવે તેની આગળની સફર માટે નીકળી પડી છે. ભારતીય ટીમે હવે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી- શ્રેણી રમવાની છે. તેની પ્રથમ મેચ આજે (23 નવેમ્બર) સાંજે 7 વાગ્યાથી વિશાખાપટ્ટનમમાં રમાશે.






સૂર્યકુમાર યાદવે પણ આ નિરાશાને ભૂલીને આ ટી20 શ્રેણીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરવું પડશે. વર્લ્ડ કપની હારને ભૂલી જવું એટલું સરળ કામ નથી અને પછી સૂર્યકુમારે માત્ર 96 કલાકમાં જ મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટીમની કેપ્ટનશીપ કરવાની છે.            


ICC T20 વર્લ્ડ કપ 2024 4 જૂન 2024થી શરૂ થશે. આ પહેલા ભારતીય ટીમે કુલ 11 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. આ ઉપરાંત આઈપીએલ 2024ની સીઝન પણ વર્લ્ડ કપ પહેલા રમવાની છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણી ઘણી ખાસ બની રહી છે.      


ભારતીય યુવા ખેલાડીઓ માટે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાની આ ગોલ્ડન તક હોઈ શકે છે. જોકે, પસંદગી દરમિયાન IPLના પ્રદર્શનને પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ T20ના નંબર-1 ખેલાડી સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે.                       


આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે નજર


યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા અને મુકેશ કુમાર જેવા ખેલાડીઓએ તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે, પરંતુ તેમની પ્રથમ કસોટી મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે જેમાં બેટ્સમેન ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ જેવા ખેલાડીઓ છે.                    


આ સિવાય આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા માર્કસ સ્ટોઈનિસ, નાથન એલિસ, ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ છે. તેના મુખ્ય ઝડપી બોલરોની ગેરહાજરી છતાં મેથ્યુ વેડની કેપ્ટનશીપ હેઠળની ટીમ ખૂબ જ મજબૂત લાગે છે.