અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે રમાયેલી પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ ટી-20માં ભારતનો 8 વિકેટથી પરાજય થયો હતો. ટોસથી લઈને મેચ સમાપ્ત થઈ ત્યાં સુધી કંઈપણ ભારતીય ટીમના પક્ષમાં રહ્યું નહીં. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં  20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 124 રન બનાવ્યા હતા.


ભારતના દિગ્ગજ બેટ્સમેનો શિખર ધવન 4, લોકેશ રાહુલે 1 રન બનાવ્યા હતા. કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. પંતે 21, ઐરે 67 અને પંડ્યાએ 19 રનનું યોગદાન આપ્યું હતું. કોહલી 0 રને આઉટ થવાની સાથે જ એક મોટો શરમજનક રેકોર્ડ તેના નામે નોંધાઈ ગયો હતો. કોહલી ભારત તરફથી કેપ્ટન તરીકે સૌથી વધુ શૂન્ય નોંધાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલી કેપ્ટન તરીકે 14મી વખત ગોલ્ડન ડકમાં આઉટ થયો હતો.


કયા દિગ્ગજ કેપ્ટનનો તોડ્યો રેકોર્ડ


કોહલીની પહેલા આ રેકોર્ડ ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને હાલ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલી તેની કરિયરમાં 13 વખત 0 રનમાં આઉટ થયો છે. ભારતનો 2007નો ટી-20 અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતાડનારો ધોની 11 વખત 0 રને આઉટ થઈને લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.


ભારતને 1983નો વર્લ્ડકપ જીતાડનારો કેપ્ટન કપિલ દેવ આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. તે કરિયરમાં 10 વખત ગોલ્ડન ડકનો શિકાબન બન્યો હતો. જ્યારે પાંચમા ક્રમે રહેલો મોહમ્મદ અઝહરુદ્દીન તેની ક્રિકેટ કરિયરમાં આઠ વખત ખાતું ખોલાવી શક્યો નહોતો.


કોહલીને બેટિંગમાં ન ફળ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ?


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધની અંતિમ ટેસ્ટમાં મોદી સ્ટેડિયમમાં જ શૂન્ય રને આઉટ થયો હતો અને તે અગાઉ ચેન્નાઈ ખાતે પણ શૂન્ય રને આઉટ થયો હતો. આ તેની ટેસ્ટ કેરિયરમાં બીજી વખત બન્યું હતું, જ્યારે એક જ સીરીઝમાં 2 વખત શૂન્ય પર આઉટ થયો હતો. આ પહેલાં 2014માં પણ તે એક સીરીઝમાં 2 વખત શૂન્ય રને આઉટ થયો હતો.  કપ્તાન વિરાટ કોહલીએ મેચ કહ્યું કે, ટીમે ખરાબ બેટિંગ કરી અને અમારે તેની કિંમત ચૂકવવી પડી.


સૌથી વધુ શૂન્ય રને આઉટ થનાર ભારતીય બેટ્સમેન
હરીફ ટીમ સામે શૂન્ય રને આઉટ થનાર ખેલાડીમાં સચિન તેંડુલકરનું નામ મોખરે છે. સચિન 34 વખત શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે આ યાદીમાં વિરેન્દ્ર સહેવાગ 31 વખત, સૌરવ ગાંગુલ 29 વખત, તો વિરાટ કોહલી 28 વખત આઉટ થયો છે. આ ઉપરાંત છ બોલમાં છ સિક્સ મારનાર યુવરાજ સિંહ પણ 26 વખત ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે.

રાશિફળ 13 માર્ચ:  આજે છે શનેશ્વરી અમાસ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ