અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે રમાયેલી પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ ટી-20માં ભારતનો 8 વિકેટથી પરાજય થયો હતો. ટોસથી લઈને મેચ સમાપ્ત થઈ ત્યાં સુધી કંઈપણ ભારતીય ટીમના પક્ષમાં રહ્યું નહીં. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં  20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 124 રન બનાવ્યા હતા.


ભારતના દિગ્ગજ બેટ્સમેનો શિખર ધવન 4, લોકેશ રાહુલે 1 રન બનાવ્યા હતા. કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. પંતે 21, ઐરે 67 અને પંડ્યાએ 19 રનનું યોગદાન આપ્યું હતું. કોહલી 0 રને આઉટ થવાની સાથે જ એક મોટો શરમજનક રેકોર્ડ તેના નામે નોંધાઈ ગયો હતો. કોહલી ભારત તરફથી કેપ્ટન તરીકે સૌથી વધુ શૂન્ય નોંધાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલી કેપ્ટન તરીકે 14મી વખત ગોલ્ડન ડકમાં આઉટ થયો હતો.


હરીફ ટીમ સામે શૂન્ય રને આઉટ થનાર ખેલાડીમાં સચિન તેંડુલકરનું નામ મોખરે છે. સચિન 34 વખત શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે આ યાદીમાં વિરેન્દ્ર સહેવાગ 31 વખત, સૌરવ ગાંગુલ 29 વખત, તો વિરાટ કોહલી 28 વખત આઉટ થયો હતો.  વિરાટ કોહલી આદિલ રશીદની આવરમાં ક્રિસ જોર્ડનના હાથે કેચ આઉટ થયો હતો.




કોહલી શૂન્ય રને આઉટ થયા બાદ ઉત્તરાખંડ પોલીસે એક ટ્વીટ કર્યુ હતું. ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને લખ્યું, માત્ર હેલમેટ લગાવવું જરૂરી નથી. પૂરી સભાનતા સાથે ગાડી ચલાવવી જરૂરી છે. નહીંતર તમે પણ કોહલીની જેમ ઝીરો પર આઉટ થઈ શકો છો.