IND vs PAK: ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને અને બીજી મેચમાં અફઘાનિસ્તાને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ બંને મેચમાં અલગ-અલગ પ્લેઈંગ 11 સાથે એન્ટ્રી કરી હતી. એવું માનવામાં આવે છે કે ભારત તેની આગામી મેચમાં પણ ફેરફાર કરી શકે છે. 


 






મેચ પહેલા આજે રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં તેમને પુછવામાં આવ્યું કે, શું શુભમન ગિલ પાકિસ્તાન રમશે? ત્યારે તેમણે કહ્યું કે, 99 ટકા રમશે. આમ શુભમન ગિલની એન્ટ્રી થશે તેમ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ પાકિસ્તાન સામે અમદાવાદમાં રમવાની છે. આ મેચ માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. 


આ ખેલાડી બહાર થઈ શકે છે


ODI રેન્કિંગમાં વર્લ્ડ નંબર 2 શુભમન ગિલ બીમારીના કારણે ટીમ ઈન્ડિયાની પ્રથમ બે મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ઈશાન કિશનને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી. જો ગિલ સંપૂર્ણ રીતે ફિટ હોત તો તે રોહિતની સાથે બંને મેચમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો હોત, પરંતુ એવું થયું નહીં. બીજી તરફ ઈશાન કિશને આ સમયગાળા દરમિયાન કોઈ મોટો સ્કોર કર્યો નથી. આવી સ્થિતિમાં ગિલની વાપસી પર ઈશાન કિશનને પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવી શકે છે.


પાકિસ્તાન સામેની મેચ મહત્વની રહેશે


આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચમાં પણ આ ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે. એક લાખથી વધુ દર્શકોની વચ્ચે રમાનાર આ મેચને ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ માનવામાં આવી રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાને પણ તેની પ્રથમ બંને મેચ જીતી છે. જોકે, તેમની બંને પ્રથમ મેચ ટુર્નામેન્ટની સૌથી નબળી ટીમ સામે હતી. ભારતીય ટીમ તેના માટે સૌથી મોટો પડકાર છે.


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 પાકિસ્તાન સામે આવી હોઈ શકે છે


શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.