લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકે ભારતીય ટીમને લઈ વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. તેણે કહ્યું, અમારા જમાનામાં મોટાભાગના ભારતીય ખેલાડીઓ ખુદની માટે રમતા હતા અને આ કારણે તેમણે હારનો સામનો કરવો પડતો હતો. પાકિસ્તાનના ખેલાડીઓ ભલે ઓછા રન બનાવતાં હતા પરંતુ તેઓ ટીમ માટે રમતા હતા તેથી પાકિસ્તાનની ટીમ ભારતને વધારે હરાવતી હતી.


પૂર્વ પાકિસ્તાની કેપ્ટન રમીઝ રાજાની યૂ ટ્યૂબ ચેનલ પર વાત કરતાં હરે કહ્યું, જ્યારે અમે લોકો ભારત સામે રમતા હતા ત્યારે તેમની બેટિંગ અમારા કરતાં મજબૂત હતી. પરંતુ અમારા બેટ્સમેનો 30 કે 40 રન બનાવતાં હતા તો પણ ટીમ માટે હતા જ્યારે ભારતીય ટીમમાં આનાથી ઉલટું હતું. ભારતના બેટ્સમેનો ખુદની માટે 100 રન બનાવતા હતા. તે જમાનામાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આ અંતર હતું.

આ ઉપરાંત હકે ઈમરાન ખાનની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, તે વધારે ટેકનિકલ કે રણનીતિ બનાવનારો કેપ્ટન નહોતો. પરંતુ ખેલાડીઓ પર પૂરો ભરોસો મુકતો હતો. એક ખેલાડી પાસેથી સર્વશ્રેષ્ઠ દેખાવ કેવી રીતે કરાવી શકાય તે જાણતો હતો. ઈમરાન ખાને યુવા ખેલાડીઓ પર ભરોસો મુક્યો અને તેમનો પૂરો સાથ પણ આપ્યો. આ કારણે તે મહાન કેપ્ટન બની શક્યો હતો. જો કોઈ ખેલાડી સીરિઝમાં ફ્લોપ જાય તો પણ તેને ડ્રોપ નહોતો કરો. તેથી ટીમમાં ખેલાડી તેની ઈજ્જત કરતા હતા.

ઈંઝમામ ઉલ હક પાકિસ્તાન તરફથી 1991થી લઈ 2007 દરમિયાન 120 ટેસ્ટ, 378 વન ડે અને એક ટી20 ઈન્ટરનેશલ રમ્યો છે.

90 દાયકામાં પાકિસ્તાનની ટીમ ભારત સામે ઘણી મેચ જીતતી હતી. પરંતુ બાદમાં ભારતીય ટીમ મજબૂત થતી ગઈ અને પાકિસ્તાન મોટાભાગની મેચો હારવા લાગ્યું. વર્લ્ડકપમાં હજુ સુધી પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી શકી નથી. થોડા વર્ષોથી બંને ટીમો વચ્ચે આઈસીસી ટુર્નામેન્ટને બાદ કરતાં ક્યારેય દ્વિપક્ષીય ટક્કર થઈ નથી.