નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે ચાલુ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થઈ શક્યું નથી. આ દરમિયાન ક્રિકેટરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. લોકડાઉન દરમિયાન યુવરાજ સિંહે આઈપીએલ સાથે સંકળાયેલી યાદો ફેન્સ સાથે શેર કરી છે.


યૂટ્યૂબ ચેનલ સ્પોર્ટ્સ સ્ક્રીન સાથે વાત કરતાં યુવરાજ સિંહે કહ્યું, મને કોઈ પણ ફ્રેન્ચાઈઝી સાથે ત્રણ કે ચાર વર્ષ રમવાનો મોકો મળ્યો નથી. ધોની, રૈના, રોહિત અને વિરાટ આટલા વર્ષો સુધી એક ફ્રેન્ચાઈઝી માટે રમવાનો મોકો મળ્યો છે. આટલા વર્ષો રમ્યા બાદ તમારો એક બેસ બને છે, જે મારી સાથે નથી થયું.

તેણે કહ્યું, હું કિંગ્સ ઇલેવન પંજાબ વહેલી તકે છોડી દેવા માંગતો હતો. કેપ્ટન તરીકે હું જે ખેલાડીઓની ડિમાન્ડ કરતો તેમને ક્યારેય લેવામાં આવતા નહોતા. મારા ગયા બાદ પંજાબે તે જ ખેલાડીઓ પર દાવ લગાવ્યો જે જોઈને હું હેરાન રહી ગયો હતો. મને લાગ્યું કે હું તો માત્ર કહેવા પૂરતો કેપ્ટન હતો. મને પંજાબ તરફથી રમતી વખતે ખુશી થઈ પણ હું ફ્રેન્ચાઈઝી છોડવા પણ માંગતો હતો.

યુવરાજ સિંહે આઈપીએલમાં 132 મેચમાં 2750 રન બનાવ્યા છે અને માત્ર 36 વિકેટ જ ઝડપી શક્યો છે. યુવરાજ સિંહ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી પણ રહી ચુક્યો છે પરંતુ 2019માં મુંબઈ ઈન્ડિયન્સે તેને એક કરોડ રૂપિયાની બેસ વેલ્યૂ પર ખરીદ્યો હતો.