Scared Prithvi Shaw : અંડર-19 વર્લ્ડકપમાં પોતાની કેપ્ટનશિપમાં ભારતને વિજય અપાવ્યો હતો. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી અને ટૂંક સમયમાં જ બેટ્સમેનને સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને બ્રાયન લારા વચ્ચેનો ક્રોસ કહેવામાં આવી રહ્યો હતો. પરંતુ તે પછી વિવાદોનું વાવાઝોડું આવ્યું અને ભારતના કહેવાતા સુપરસ્ટારને માત્ર આંતરરાષ્ટ્રીય ટીમમાંથી જ કાઢી નંખાયો, પરંતુ તે રસ્તા પર એક છોકરી સાથે લડતો પણ જોવા મળ્યો. આ દરમિયાન સમાચાર આવ્યા હતાં કે, તેણે તેની ગર્લફ્રેન્ડ નિધિ તાપડિયા સાથે બ્રેકઅપ કરી લીધું છે. હવે એવી ભીતિ સેવાઈ રહી છે કે ક્યાંક શાનદાર પ્રતિભા બરબાદ ના થઈ જાય. 


હા, અમે અહીં પૃથ્વી શૉ વિશે વાત કરી રહ્યા છીએ. પૃથ્વી શોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને એકલો રહેવાનું શરૂ કરી દીધું છે. તેણે કહ્યું હતું કે, જ્યારે પણ તે બહાર નીકળે છે ત્યારે લોકો તેને હેરાન કરે છે અને મુશ્કેલી ઊભી થાય છે. તેણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે તે નિરાશ થયો હતો પરંતુ તેણે આગળ વધવાનું નક્કી કર્યું. 


તેણે કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડકપ જીત્યો અને ટેસ્ટ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. જો કે, આવા પ્રદર્શન છતાં તે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કરવા છતાં તેણે છેલ્લા બે વર્ષમાં એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેના માટે આ વખતની આઈપીએલ 2023 પણ નિરાશાજનક રહી હતી. જેમાં તે આઠ મેચોમાં 13.25ની સરેરાશથી માત્ર 106 રન જ બનાવી શક્યો હતો.


શૉએ ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'જ્યારે મને (ભારતીય ટીમમાંથી) બહાર કરવામાં આવ્યો ત્યારે મને તેનું કારણ ખબર નહોતી. કોઈ કહેતું હતું કે તે ફિટનેસ હોઈ શકે છે. હું અહીં (બેંગલુરુ) આવ્યો હતો અને NCAમાં તમામ ટેસ્ટ ક્લિયર કરી હતી. રન બનાવ્યા અને ફરી ટી20 ટીમમાં પરત ફર્યો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝમાં ફરી તક મળી નથી. હું નિરાશ છું પણ બસ આગળ વધવું છે. તેણે કહ્યું હતું કે, તે હવે પોતાની જાત સુધી સીમિત રહેવા માંગે છે.


તેણે ભાર મૂક્યો હતો કે, તે તેના મંતવ્યો શેર કરવામાં ડરે છે કારણ કે, તે બધું સોશિયલ મીડિયા પર આવે છે. એક વ્યક્તિ તરીકે, મને ફક્ત એકલા રહેવું ગમે છે. લોકો મારા વિશે ઘણી વાતો કહે છે. પણ જે મને ઓળખે છે, તેઓ પણ જાણે છે કે હું કેવો છું. મારે મિત્રો નથી, મને મિત્રો બનાવવાનું પસંદ નથી. મને મારા વિચારો શેર કરવામાં ડર લાગે છે. એક યા બીજી રીતે તે બધું સોશિયલ મીડિયા પર આવી જ જાય છે. મારા બહુ ઓછા મિત્રો છે, કેટલાક જ મિત્રો છે, અને તેમની સાથે પણ હું બધું જ શેર કરતો નથી. તેમને પણ હું માત્ર અમુક વસ્તુઓ જ કહુ છું.'


તેણે આગળ ઉમેર્યું હતું કે, જો હું બહાર જઈશ તો લોકોને તકલીફ થશે. તેઓ સોશિયલ મીડિયા પર કંઈક મૂકશે, તેથી મને હાલ બહાર નિકળવાનું જ પસંદ નથી. હું જ્યાં જાઉં છું ત્યાં મુશ્કેલીઓ ઊભી થાય છે. મેં બહાર જવાનું સાવ બંધ કરી દીધું છે. હાલના દિવસોમાં હું લંચ અને ડિનર માટે પણ એકલો બહાર જઉં છું. હવે મને એકલા રહેવું ગમે છે. શૉ ઇંગ્લેન્ડમાં બાકીની કાઉન્ટી ક્રિકેટ સિઝન માટે નોર્થમ્પટનશાયર માટે રમવા માટે તૈયાર છે અને ઓગસ્ટમાં શરૂ થતા રોયલ લંડન વન-ડે કપનો પણ ભાગ બનશે.


https://t.me/abpasmitaofficial