Rohit Sharma India vs bangladesh ODI:  ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર સતત બીજી વન-ડે સીરિઝ હારી ગઈ છે. અગાઉ 2015માં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ વનડે શ્રેણી હારી ગયા હતા. હવે યજમાન બાંગ્લાદેશે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા સામે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.






ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી એટલે કે ત્રીજી મેચ હવે 10 ડિસેમ્બરે રમાશે. પરંતુ આ ત્રીજી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ઝડપી બોલર દીપક ચહર અને કુલદીપ સેન રમી શકશે નહીં. ત્રણેય ઈજાના કારણે બહાર છે.


ભારતીય ટીમનું બોલિંગમાં ખરાબ પ્રદર્શન


ટીમ ઈન્ડિયાને બુધવારે ઢાકામાં રમાયેલી બીજી વનડે મેચમાં 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેપ્ટન રોહિત સહિત ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મેચમાં ઈજા હોવા છતાં કેપ્ટન રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. જો કે છેલ્લી ઓવરમાં રોહિત 20 રન બનાવી શક્યો નહોતો અને ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.


પ્રથમ મેચની જેમ આ મેચમાં પણ ભારતીય ટીમની નબળી બેટિંગ અને બોલિંગ રહી હતી. એક સમયે બાંગ્લાદેશની ટીમે 69 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ 8મા નંબરે બેટિંગ કરવા આવેલા મેહદી હસને મહમુદુલ્લાહ સાથે મળીને 7મી વિકેટ માટે 165 બોલમાં 148 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશની ટીમે રમતની છેલ્લી 5 ઓવરમાં 68 રન બનાવ્યા હતા. જેના કારણે બાંગ્લાદેશે મેચમાં 271 રન બનાવ્યા હતા. મિરાજે અણનમ 100 રન ફટકાર્યા હતા.


મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની બોલિંગને હાર માટે જવાબદાર ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ભારતીય ટીમે બોલિંગમાં સારી શરૂઆત કરી હતી. 69 રનમાં 6 વિકેટ લીધી હતી પરંતુ પછી વચ્ચેની ઓવરો અને અંતે બોલરોએ નિરાશ કર્યા હતા.


રોહિતે મેચ બાદ કહ્યું, તેને હાથમાં કોઇ ફ્રેક્ચર નથી. આ જ કારણ હતું કે હું બેટિંગ કરી શક્યો. જ્યારે તમે મેચ ગુમાવો છો, ત્યારે સકારાત્મક અને નકારાત્મક બંને બાબતો હોય છે. અમારા બોલરોની ખામીઓ દેખાય છે. અમે સારી શરૂઆત કરી હતી પરંતુ મધ્ય ઓવરોમાં અને અંતમાં થોડી નિરાશા મળી હતી.


'વર્કલોડ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપવાની જરૂર છે'


તેણે કહ્યું, 'મેહિદી હસન અને મહમુદુલ્લાહે શાનદાર ભાગીદારી કરી પરંતુ આવી ભાગીદારીને તોડવાનો રસ્તો પણ શોધવો પડશે. જ્યારે તમે ODI ક્રિકેટમાં ભાગીદારી બનાવો છો, ત્યારે તેને મેચ વિનિંગ ભાગીદારીમાં ફેરવો છો. તેમણે એવું જ કર્યું. મિડલ ઓર્ડરમાં પણ હિંમત બતાવવાની જરૂર છે.  કેપ્ટન રોહિતે કહ્યું, જ્યારે તે ભારત માટે રમે છે ત્યારે તેની પાસેથી 100 ટકાથી વધુની અપેક્ષા રાખવામાં આવે છે. તેના વર્કલોડ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે અમે તેને દેશ માટે અડધી ફિટ રમવા દેતા નથી.