મુંબઈ:  ઓસ્ટ્રેલિયા ઐતિહાસિક જીત બાદ ગુરુવારે સવારે ભારત પહોંચેલા ટીમ ઈન્ડિયાના પાંચ સભ્યોને આગામી સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. અજિંક્ય રહાણે, રોહિત શર્મા, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર, પૃથ્વી શો અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઓસ્ટ્રેલિયાથી ગુરુવારે સવારે મુંબઈ પહોંચ્યા હતા.


બીએમસી મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે, “ખેલાડીઓને સાત દિવસ સુધી ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે.” ઉલ્લેખનીય છે કે, કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ પણ મંગળવારે બ્રિસ્બેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હરાવીને સીરિઝ 2-1 થી જીતી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી.

રહાણે, શાસ્ત્રી, રોહિત, શાર્દુલ અને પૃથ્વી શોનું મુંબઈ પહોંચવા પર મુંબઈ ક્રિકેટ સંઘના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. રહાણેએ ટીમની જીતનો જશ્ન મનાવવા માટે કેક પણ કાપી હતી. ટીમ ઈન્ડિયા માટે બ્રિસ્બેનની જીત ખૂબજ ખાસ છે અને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે.