નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લવ્સ વિવાદમાં ક્રિકેટ જગતની હસ્તીઓ સહિત આખા દેશે મહેન્દ્ર સિંહ ધોનીનું સમર્થન કર્યું છે. રમત-ગમત મંત્રી કિરણ રિજિજૂએ બીસીસીઆઈને આ મામલાને નિવારવા કહ્યું છે.

જોકે પૂર્વ ભારતીય ફૂટબોલ ટીમનાં કેપ્ટન બાઈચુંગ ભૂટિયાનું માનવું છે કે, મહેન્દ્ર ધોનીએ નિયમોનું પાલન કરીને આ ચિહ્ન હટાવી દેવું જોઈએ. ભૂટિયાએ કહ્યું હતું કે, એક ખેલાડીએ નિયમો અને દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઈએ. જો આ તેની વિરૂદ્ધ છે તો ધોનીએ તેને ના પહેરવું જોઇએ.

સુરેશ રૈનાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, આપણને બધાંને આપણા દેશથી પ્રેમ છે અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એ જ કર્યું છે. તે આપણાં નાયકોનાં બલિદાનને સલામી આપી રહ્યો છે અને તેમનું સમ્માન કરી રહ્યો છે. આને દેશભક્તિ તરીકે લેવું જોઈએ ના કે રાષ્ટ્રવાદ તરીકે.

યોગેશ્વર દત્તે લખ્યું હતું કે, આઈસીસી દ્વારા આ બેઝને હટાવવાની માંગણી કરવી ભારતીય સેનાનાં બલિદાનનું જ નહીં, પરંતુ ભારતીય સેનાનું પણ અપમાન છે. હિમા દાસે લખ્યું છે કે, ભારત ધોની ભાઈ સાથે છે. હું માહી ભાઈનું સમર્થન કરું છું. જય હિંદ જય ભારત.