નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડનો ટી-20 શ્રેણીમાં 5-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર વન ડે શ્રેણી પર છે. રવિવારે રમાયેલી પાંચમી અને અંતિમ ટી-20માં રોહિત શર્મા 60 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે તે ફિલ્ડિંગમાં પણ નહોતો આવ્યો અને તેના સ્થાને લોકેશ રાહુલે કેપ્ટનશિપ કરી હતી. પાંચમી ટી-20માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને રોહિતે સુકાની પદ સંભાળ્યું હતું.


પગમાં સ્નાયુ ખેંચાઈ જવાના કારણે હવે રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વન ડે અને ટેસ્ટ  શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વન ડેમાં તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ટેસ્ટ શ્રેણીમાં પૃથ્વી શૉ અને શુભમન ગિલ પ્રબળ દાવેદાર છે. ન્યૂઝીલેન્ડ-એ સામેની મેચમાં ગિલે બેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ ટીમમાં લોકેશ રાહુલની પણ વાપસી થઈ શકે છે.

ઈજા છતાં બટિંગ રાખી હતી શરૂ પણ....

ઈજા છતાં રોહિત શર્માએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને એક સિક્સર પણ લગાવી હતી. પરંતુ તે પછીના બોલ પર રન ન લઈ શકતાં રિટાયર્ડ થઈ ગયો હતો. 41 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા છે ઈજાથી પરેશાન

ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત પહેલા ઈશાંત શર્મા અને શિખર ધવન ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થઈ ગયા હતા. થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યા ઈજામાંથી મુક્ત ન થઈ શકતા ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ભુવનેશ્વર કુમાર પણ ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે.