નવી દિલ્હીઃ લીગ સ્ટેજમાં 9માથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને સેમિફાઇનલમાં જગ્યા બનાવનાર ભારત સટ્ટાબજારની નજરમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ જીતવાનું પ્રબળ દાવેદાર છે. ભારત સેમિફાઇનલમાં આજે માનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટકરાશે જ્યારે પાંચ વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ગુરૂવારે બર્મિંઘમમાં કટ્ટર હરીફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઉતરશે.


સટ્ટાબજારનું માનીએ તો વર્લ્ડકપની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ છે. આનું સૌથી મોટું કારણ ભારતનું લીગ સ્ટેજનું પ્રદર્શન છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 9માંથી 7 મેચો જીતીની સેમિ-ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન ભારતને ફક્ત ઇંગ્લેન્ડ જ હરાવી શક્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ હતી.



લૈડબ્રોક્સ અને બેટ-વે જેવી ઑનલાઇન સટ્ટેબાજી વેબસાઇટ્સ અનુસાર ભારતીય ટીમ સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જશે. એટલું જ નહીં રવિવાર 14 જુલાઈનાં લૉર્ડ્સમાં થનારી ફાઇનલ મેચમાં પણ જીત મેળવશે અને ત્રીજીવાર વિશ્વ વિજેતા બનશે. લૈડબ્રોક્સે ભારતની જીત પર 13/8નો ભાવ આપ્યો છે. ત્યારબાદ ઇંગ્લેન્ડ 15/8, ઑસ્ટ્રેલિયા 11/4 અને ન્યૂઝીલેન્ડ 8/1નો નંબર આવે છે. જો કોઈ 13/8નાં ભાવ પર સટ્ટો લગાવે છે તો તેનો મતલબ તેણે જેટલી પણ રકમ દાવ પર લગાવી છે, તેને જીત પર તેની લગાવેલી રકમ કરતા 13 ગણી રકમ કરીને 8મો ભાગ કરવામાં આવશે અને જે રકમ આવશે તે વિજેતાને આપવામાં આવશે.



બેટવેએ પણ ભારતને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. તેણે ભારત માટે 2.8, ઇંગ્લેન્ડ માટે 3, ઑસ્ટ્રેલિયા માટે 3.8 અને ન્યૂઝીલેન્ડ માટે 9.5નો ભાવ આપ્યો છે. ભારત પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબરે છે. જો કે વર્લ્ડ કપમાં ભારત પર ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારે રહ્યું છે. બંને ટીમો 8 વાર ટકરાઇ ચુકી છે, જેમાં 4 વાર ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે. 3 વાર ભારતીય ટીમે જીત મેળવી છે. તો એક મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ છે.