નવી દિલ્હીઃ  ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા મુંબઈના ઓપનર કમ મીડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્યા રહાણેની વર્લ્ડકપમાં રમવાની આશા લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. સતત ઉપેક્ષાથી નિરાશ રહાણેએ વ્યથા સાથે માગ કરી છે કે, મને વન ડે અને ટી-૨૦ ટીમમાં સાતત્યપૂર્ણ રીતે તક મળવી જોઈએ.


વાંચોઃ INDvAUS: ઓસ્ટ્રેલિયાએ T20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો કર્યો વ્હાઇટ વોશ

અગાઉ ભારતીય ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું હતુ કે, રહાણે સહિતના અન્ય ક્રિકેટરો અમારા વર્લ્ડકપના સંભવિતોમાં સામેલ છે. જોકે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રહાણેને ટીમમાં તક ન આપીને પસંદગીકારોએ તેના વર્લ્ડકપમાં રમવાના દરવાજા લગભગ બંધ કરી દીધા છે. નોંધપાત્ર છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વન ડેની સિરીઝ વર્લ્ડ કપ અગાઉની ટીમ ઈન્ડિયાની આખરી આંતરરાષ્ટ્રીય સિરીઝ છે.

એક વર્ષ પહેલા રમ્યો હતો છેલ્લી વન ડે

રહાણે તેની કારકિર્દીની ૯૦મી અને આખરી વન ડે એક વર્ષ પહેલા - ફેબ્રુઆરી,૨૦૧૮માં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં રમ્યો હતો. રહાણેએ કહ્યું કે, હું આક્રમક બેટ્સમેન છું, પણ મારો સ્વભાવ અંતઃમુખી છે. મને બહુ બોલવું ગમતું નથી તેના બદલે મારું બેટ ટીકાકારોને જવાબ આપે તેવું હું પસંદ કરું છું. જોકે કેટલીક વખત સત્ય બોલવું જરુરી હોય છે. રહાણેએ 90 વન ડેમાં ૩૫.૨૬ની સરેરાશથી ૨,૯૬૨ રન ફટકાર્યા છે, જેમાં ૨૪ અડધી સદીઅને ત્રણ સદી સામેલ છે. જ્યારે ટી-૨૦માં તેણે ૨૦ મેચમાં ૩૭૫ રન કર્યા છે.

હજુ પણ વર્લ્ડકપમાં રમવાનો છે વિશ્વાસ

મુંબઈના બેટ્સમેને કહ્યુ કે, હું ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટરોના નિર્ણયને આવકારું છું. જોકે હું માનુ છું કે, ટીમ માટે સારો દેખાવ કરવા મને મર્યાદિત ઓવરના ક્રિકેટમા સાતત્યપૂર્ણ તક મળવી જોઈએ.  રહાણેનો રેકોર્ડ નોંધપાત્ર હોવા છતાં પસંદગીકારો યુવા ચહેરાઓને અજમાવવાના પ્રયાસમાં તેની ઘોર ઉપેક્ષા કરતાં રહ્યા છે.  રહાણે હાલ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. તેણે કહ્યું કે, મારી ઉપેક્ષા થઈ રહી છે, તેવું હું નથી માનતો. કારણ કે જો હું તેમ માનવા લાગું તો મારુ મન નકારાત્મક બનવા લાગે અને તેની અસર મારી રમત પર થાય. હું મારી રમતનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય પસંદગીકારો પર છોડું છું. જોકે હું દ્રઢપણે માનુ છું કે, મારું પ્રદર્શન ઘણું જ સારુ છે. છેલ્લી ત્રણ-ચાર સિરીઝ પર નજર નાંખો તો મારી રન સરેરાશ 45 થી 50ની રહી છે. વર્લ્ડકપની આશા હજુ પણ રહાણેને છે. તેણે કહ્યું કે, ટીમ ઈન્ડિયામાંથી પડતા મૂકાયા બાદ હું ડોમેસ્ટીક ક્રિકેટમાં પાછો ફર્યો હતો અને ત્યાં પણ મારો દેખાવ સારો રહ્યો હતો.

પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા મુદ્દે અમિત શાહે શું કહ્યું ? જુઓ વીડિયો


દિલ્હી: ભાજપના કયા મંત્રીએ નરેન્દ્ર મોદીને ઈશારો કર્યો ને PMએ વિજ્ઞાન ભવનમાં ભાષણ ટૂંકાવ્યું ? જુઓ વીડિયો