નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં રમત ગમત એક્ટિવિટી બંધ છે. મહામારીના કારણે ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનને અનિશ્ચિત મુદત સુધી ટાળી દેવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે.


કોહલીએ ક્રિકેટ કનેક્ટેડ કાર્યક્રમમાં કહ્યું, "આઈસીસી દ્વારા નક્કી કરવામાં આવેલી ટુર્નામેન્ટમાં એક ટીમ બીજી ટીમ સામે રમે છે. જેના કારણે એક ટીમના ખેલાડીઓ હરિફ ટીમ સાથે વધારે વાતચીત કરી શકતા નથી. પરંતુ આઈપીએલમાં તમે દર બીજા કે ત્રીજા દિવસે મુકાબલો રમો છો અને તે જ આઈપીએલની શોભા છે. એક અલગ પ્રકારનો માહોલ હોય છે."

કેપ્ટને કહ્યું, હું આ ટુર્નામેન્ટને બહુ પ્રેમ કરુ છું. તમે યુવા ખેલાડીઓ સાથે રમો છો, જે તમારી સાથે મિત્રતા અને ભાઈચારો નીભાવે છે. તમે અનેક ખેલાડીઓને ઘણા લાંબા સમયથી ઓળખતા હોવ છો, જે દેશ માટે નથી રમતા હોતા પરંતુ તમે તેને અવારનવાર રમતા જોતા હોવ છો. આ કારણે દરેક આઈપીએલને ખૂબ પ્રેમ કરે છે.

આઈપીએલની શરૂઆતથી કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમી રહ્યો છે. તેણે આજ સુધી આઈપીએલની એક પણ સીઝન ગુમાવી નતી. જોકે તેની ટીમ આઈપીએલમાં ખાસ ઉકાળી શકી નથી. સ્ટાર ખેલાડીઓથી ભરપૂર હોવા છતાં કોહલીની ટીમ ક્યારેય વિજેતા બની શકી નથી.