MI vs PBKS: પુણેમાં રમાયેલી IPL 2022 ની 23મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હાર આપી હતી. આ સિઝનમાં મુંબઈની આ સતત પાંચમી હાર છે. આ સાથે જ પંજાબ કિંગ્સની આ ત્રીજી જીત છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 186 રન જ બનાવી શકી હતી. પંજાબ કિંગ્સ તરફથી ઓડિયન સ્મિથે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.


199 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા માત્ર 28 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં ઈશાન કિશન પણ જલ્દી આઉટ થઈ ગયો હતો. બે વિકેટ ગુમાવ્યા બાદ મુંબઇ તરફથી બ્રેવિસ અને તિલકે ટીમને સંભાળી હતી.


બ્રેવિસે 49 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 25 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 5 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તેના આઉટ થયા બાદ તિલક પણ 36 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને પોલાર્ડે સ્થિતિ સંભાળી હતી.  જોકે, પોલાર્ડ પણ 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના આઉટ થયા બાદ મુંબઈના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ટીમ 20 ઓવરમાં માત્ર 186 રન જ બનાવી શકી અને ટીમને 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


આ અગાઉ  શિખર ધવન (70) અને કેપ્ટન મયંક અગ્રવાલ (52)ની શાનદાર બેટિંગને કારણે પંજાબ કિંગ્સ (PBKS) એ IPL 2022ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (CSK)ને 199 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન મયંક અને ધવને 57 બોલમાં 97 રનની શાનદાર ભાગીદારી કરી હતી. મુંબઈ તરફથી બેસિલ થમ્પીએ બે વિકેટ ઝડપી હતી.  જસપ્રિત બુમરાહ, એમ. અશ્વિન અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ લીધી હતી.