નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જે બાદ સમગ્ર વિશ્વમાં માહીના ગુણગાન ગવાઈ રહ્યા છે. હવે પાકિસ્તાનના કામરાન અકમલે પણ ધોનીની પ્રશંસા કરી અને કહ્યું કે, પાકિસ્તાનને પણ ધોની જેવા કેપ્ટનની જરૂર છે.


કામરાન અકમલે પાક ટીવી સાથે વાત કરતાં કહ્યું, ટીમને એકલા હાથે આગળ વધારનારો તે ખેલાડી હતો. ધોનીએ કેપ્ટનશિપની રીતને એકદમ સરળ બનાવી દીધી હતી. જો હું કેપ્ટન હોત તો મારી ટીમ હારે કે જીતે પણ મારું સ્થાન નિશ્ચિત રહે પણ ધોનીએ આમ ન કર્યું. ધોનીની સૌથી સારી વાત એ હતી કે તે હંમેશા સૌથી સારી ટીમ બનાવીને મેદાન પર ઉતરતો હતો. ઉપરાંત તેનું પ્રદર્શન પણ શાનદાર રહેતું હતું અને ખાસ કરીને અણીના સમયે. તમે જોઈ લો કે ધોનીએ કયા કયા ખેલાડીને નંબર વન બનાવ્યા. તે હંમેશા પોતાના દેશ માટે સર્વશ્રેષ્ઠ કરવા માંગતો હતો.

પાકિસ્તાનને ધોની જેવા કેપ્ટનની હકીકતમાં ખૂબ જરૂર છે. અમે ઈન્ઝમામ ભાઈ અને યૂનિસભાઈને જોયા. તેઓ ટીમને આગળ લઈને ગયા. ધોની ભારત માટે રમવા માટે જ બન્યો હતો અને પોતાના દેશ માટે શાનદાર પ્રદર્શન પણ કર્યું. તે ભારતીય ટીમને નવી ઊંચાઈ પર લઈ ગયો પાકિસ્તાનને પણ ધોની જેવો કેપ્ટન મળે તેવે હું આશા રાખું છું. વર્તમાન કેપ્ટન માત્ર જીત અંગે જ વિચારે છે પરંતુ તેમનું ખુદનું પ્રદર્શન ઘણું નિરાશાજનક જોવા મળે છે. જેવું ધોનીએ કર્યું તેવું અમે ક્યારેય નથી કરી શક્યા.

ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.  ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ધોનીની નિવૃ્ત્તિ પર PM મોદીએ લખ્યો બે પાનાનો પત્ર, કહી આ મોટી વાત