નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર અશોક ડિંડાને કોચ સાથે અભદ્ર વ્યવહાર કરવાના કારણે બંગાળની રણજી ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. બંગાળની ટીમના બોલિંગ કોચ રણદેબ બોસને અપશબ્દો કહ્યા હોવાનો તેના પર આરોપ છે.


માફી માંગવાનો કર્યો ઇન્કાર

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અશોક ડિંડા ટીમથી બહાર કરતાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ બેઠક બોલાવી જ્યાં ડિંડા અને બોલિંગ કોચ બોસને બોલાવવામાં આવ્યા. બેઠકમાં ડિંડાને બોસથી માફી માંગવા માટે કહેવામાં આવ્યું, પરંતુ ડિંડાએ તેવું કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. બંગાળ ક્રિકેટ એસોસિએશને કહ્યું કે જો ડિંડા માફી માંગી લેત તો તેને ટીમથી બહાર ન કરવામાં આવતો, કારણ કે આંધ્ર પ્રદેશની વિરુદ્ધ રમાનારી મેચ માટે અશોક ડિંડા બંગાળની ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી હતો.

શું હતો મામલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટીમના પ્રેક્ટિસ સેશન પહેલા રણદેવ બોસ કોલકાતાના કેપ્ટન અભિમન્યૂ ઈશ્વરન સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ ડિંડાએ ડ્રેસિંગ રૂમમાં રણદેવ બોસ સાથે બૂમો પાડીને વાત કરી. ડિંડાને લાગ્યું કે બોસ તેના વિશે ઈશ્વરનને કંઈક કહી રહ્યા છે. જોકે, બંગાળ ક્રિકેટ એસોસિએશને દાવો કર્યો કે બંગાળના કેપ્ટન ઈશ્વરન અને કોચ બોસ ટીમની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારબાદ ડિંડાને કોચ બોસથી માફી માંગવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી. નોંધનીય છે કે, રણદેવ બોસ અને અશોક ડિંડાની વચ્ચે પહેલા પણ અનેકવાર બોલાચાલી થઈ ચૂકી છે. બોસ જ્યારે બંગાળ રણજી ટીમમાં રમતા હતા તો ડિંડા અને તેમની વચ્ચે સારા સંબંધો નહોતા.

2013માં રમ્યો હતો અંતિમ વન ડે

અશોક ડિંડા ભારત તરફથી અંતિમ વન ડે મેચ 2013માં રમ્યો હતો. કંગાળ દેખાવના કારણે તેને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. IPL 2020ની હરાજીમાં પણ કોઈ ફ્રેન્ચાઇઝીએ તેને ખરીદ્યો નહોતો. ડિંડા ભારત તરફથી 13 વન ડે અને 9 ટી20 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે અનુક્રમે 12 અને 17 વિકેટ ઝડપી છે. જ્યારે 116 ફર્સ્ટકલાસ મેચમાં 420 ઝડપી છે.

રાજકોટઃ ઇકો કારે બે બાઇકને લીધા એડફેટે, એકનું મોત, જાણો વિગતે

બનાસકાંઠા: તીડ મામલે ભાજપ સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે થઈ બોલાચાલી, જાણો વિગતે

ઓછા ધારાસભ્યોથી કેવી રીતે સરકાર બનાવી શકાય તે શરદ પવારે બતાવ્યુઃ ઉદ્ધવ ઠાકરે