નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તાજેતરમાં પાકિસ્તાની ટીમ વિરુદ્ધ મોટું નિવેદન આપતા ખુલાસો કર્યો હતો કે, ડ્રેસિંગ રૂમમાં દાનિશ કનેરિયા સાથે ભેદભાવ થતો હતો. હિન્દુ હોવાના કારણે ખેલાડીઓ તેમની સાથે ખાવાનું ન્હોતા ખાતા. હવે આ મુદ્દા ઉપર વિવાદ સર્જાતા શોએબ અખ્તરે પોતાના નિવેદન ઉપર પલટી મારી છે. શોએબ અખ્તરે યુટર્ન લેતા કહ્યું કે, તેમણે ક્યારેએ આવું નિવેદન આપ્યું નથી. તેમની વાતને ફેરવીતોડીને રજૂ કરવામાં આવી હતી.


ગુરુવારે અખ્તરે આરોપ લગાવ્યો કે ટીમમાં અનેક લોકો એવા હતા જે કનેરીયાને પાકિસ્તાની ટીમમાં જોવા માગતા ન હતા. કેમ કે તે હિન્દુ ધર્મને માનતો હતો. જે બાદ કનેરીયાએ પણ કહ્યું કે, અમુક ખેલાડી હતા જેમને ટાર્ગેટ કરતા હતા. પણ તેના પર ધર્મ પરિવર્તનનું પ્રેશર કરવામાં આવ્યું ન હતું.

અખ્તરે કહ્યું કે, મારા નિવેદનને લઈ જે પણ વિવાદ થયો તેને હું જોઈ રહ્યો હતો. મારા નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું છે. પોતાના યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું હતું કે, ટીમમાં 1-2 ખેલાડીઓ કનેરીયાને લઈ ભેદભાવપૂર્વક ટિપ્પણી કરી પણ ટીમનાં બાકીના સભ્યોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું.



શોએબ અખ્તરે તાજા યુટ્યૂબ વીડિયોમાં કહ્યું હતું કે, 'હું જોવા માંગુ છું કે લોકો આ વાત ઉપર શું વિચારે છે. માશા અલ્લાહ તમે મારા એ નિવેદન ઉપર સારી પ્રતિક્રિયા આપી હતી. અને ખોટી ખબર પણ ફેલાવી.' શોએબે કહ્યું કે, 'મેં દાનિશ કનેરિયા અંગે જે પણ કહ્યું છે એ ટીમ કલ્ચર તરીકે નથી કહ્યું. આમ કરનારી અમારી ટીમ નથી. પરંતુ એક-બે ખેલાડી છે જેમણે આવું કર્યું હતું. આવા એક બે ખેલાડી આખી દુનિયામાં હોય છે. જે જાતિગત ટિપ્પણી આપે છે.'

શોએબ અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે, 'હું એવા ખેલાડીઓ સાથે કડક વલણ દાખવ્યું અને કહ્યું કે,જો ફરીથી આવું થયું તો એમને બહાર ફેંકી દઈશ. એ સમયે એક અન્ય સાથી ખેલાડી પણ હાજર હતો. તેમણે કહ્યું કે, શોએબ બિલકુલ ઠીક કહી રહ્યા છે. તમારે આવી વાત બિલકુલ ન કરવી જોઈએ.'

શોએબ અખ્તરે પોતાના વીડિયોમાં એટલા સુધી કહી દીધું હતું કે, પાકિસ્તાન હિન્દુઓનું ઘર છે. અહીં તેમનું સન્માન થાય છે. જોકે, સચ્ચાઈ આખી દુનિયા જાણે છે. શોએબ અખ્તરનું નિવેદન કેટલું સાચું છે.

આ ઉપરાંત શોએબે કહ્યું કે, ઈસીબીએ કનેરીયા પર બેન લગાવ્યો છે, ન કે પાકિસ્તાને તેના ધર્મને લઈ. દાનિશ કનેરીયાને પાકિસ્તાની ટીમે ક્યારેય એકલો છોડ્યો નથી. તેને ઈસીબીના કારણે ડ્રોપ કરવામાં આવ્યો છે. તેની સાથે મેચ ફિક્સિંગની પણ સમસ્યા હતી અને ઈસીબીએ તેને સજા આપી છે. પાકિસ્તાને તેની સાથે કાંઈ ખોટું કર્યું નથી.