ગાવસકરે કહ્યું કે, દ્વિપક્ષીય સિરીઝ ન રમવાથી પાકિસ્તાનને નુકસાન થાય છે પરંતુ વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં બે પોઇન્ટ આપવાથી ભારતને જ નુકસાન થશે. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય કરે તો કોણ જીતશે? પાકિસ્તાન. પાકિસ્તાનને બે પોઇન્ટ મળી જશે. આપણે વર્લ્ડ કપમાં તેને દરેક વખતે પરાજય આપ્યો છે. આથી પાકિસ્તાન સાથે મેચ રમી તેને પરાજય આપવો જોઈએ. જેથી તે સેમિફાઇનલ સુધી ન પહોંચી શકે. ગાવસકરે કહ્યું કે, હું જાણું છું કે, પાકિસ્તાન સામે ન રમીને પણ ભારત આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરવામાં સક્ષમ છે.
પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરાય તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે સુનીલ ગાવસકરે આ અંગે કહ્યું કે, બીસીસીઆઈ પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેવું થશે નહીં, કારણ કે આ માટે બીજા સભ્ય દેશોની પણ મંજૂરી જરૂરી છે. ગાવસકરે કહ્યું કે, મને નથી લાગતું કે, અન્ય સભ્ય દેશો પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાની મંજૂરી નહીં આપે. તેમ છતાં ભારત પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમતું રોકવા પ્રયાસ કરી શકે છે.