નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે સમગ્ર ક્રિકેટ જગત પ્રભાવિત થયું છે. જોકે આ દરમિયાન ક્રિકેટ સાથે સંકળાયેલી હસ્તીઓ ફેન્સને ખબર ન હોય તેવા રહસ્ય ખોલી રહી છે. આ ઉપરાંત વિવિધ મુદ્દા પર ખેલાડીઓનો અભિપ્રાય પણ સોશિયલ મીડિયા દ્વારા સામે લાવે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલ ભાજપના સાંસદ ગૌતમ ગંભારે દાવો કર્યો છે કે જો DRS નો ઉપયોગ પહેલાથી થતો આવ્યો હોત તો ટેસ્ટ ક્રિકેટમાં કુંબલે ઓછામાં ઓછી 900 વિકેટ ઝડપી શક્યો હોત અને હરભજન પણ ટેસ્ટ ક્રિકેટ કરિયરનો અંત 700 વિકેટ સાથે કરત.


ગંભીરે સ્પોર્ટ્સ તક  ચેનલના ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં કહ્યું કે, ડીઆરએસથી ભારતીય સ્પિનર્સને ખૂબ ફાયદો મળ્યો હોત. તેણે કહ્યું ડીઆરએસની સાથે કુંબલે ટેસ્ટ કરિયરનો અંત 900થી વધારે વિકેટ અને હરભજન 700થી વધારે વિકેટ લઈને કરત. આ બંને અનેક વખત ફ્રંટફૂટ પર એલબીડબલ્યુ લેવાથી ચૂકી ગયા હતા. ભજ્જીએ કેપટાઉનમાં સાત વિકેટ લીધી હતી. જરા વિચારો કે જો વિકેટ સ્પિનરોને મદદગાર હોય તો વિરોધી ટીમ 100 રન પણ ન બનાવી શકત. કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરના લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. કુંબેલના નામે ટેસ્ટમાં 617 અને હરભજનના નામે 417 વિકેટ છે.

ગંભીરે થોડા સમય પહેલા કુંબલેની કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. ગંભીરે કુંબલેને ગાંગુલી અને ધોનીથી સારો કેપ્ટન ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું જે કેપ્ટનોની નીચે રમ્યો છું તેમાં કુંબલે લાજવાબ હતો.

તેણે ઓસ્ટ્રેલિયા સામે 2008માં રમાયેલી સીરિઝનો ઉલ્લેખ કરી કહ્યું, સેહવાગ અને હું ડિનર કરતા હતા ત્યારે કુંબલે ત્યાં આવ્યો અને કહ્યું તમે બંને સમગ્ર સીરિઝમાં ઓપનિંગ કરજો. પછી ભલે ગમે તે થાય. જો તમે બંને આઠ વખત રન બનાવ્યા વગર પણ આઉટ થઈ જશો તો પણ વાંધો નહીં. મેં મારી કરિયરમાં કોઈ પાસેથી આ પ્રકારની શબ્દો નથી સાંભળ્યા. જો મને કોઈ માટે મારી જિંદગી આપવી પડે તો હું અનિલ કુંબલેનું નામ લઈશ. તે શબ્દો આજે પણ મારા દિલમાં છે.