નવી દિલ્હીઃ આઈપીએલ શરૂ થવાને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. 29 માર્ચથી આઈપીએલની શરૂઆત થશે. પરંતુ આ વખતે એવું લાગી રહ્યું છે કે કોઈની આઈપીએલ પર નજર લાગી ગઈ છે અને એ છે આર્થિક મંદીની. એવું લાગે છે કે આર્થિક મંદીએ વિશ્વના સૌથી ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈને પણ ડરાવી દીધું છે.


આઈપીએલમાં ઘણી વસ્તુને લઈને બીસીસીઆઈ હવે ઘટાડો કરવાના પર વિચારી કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર આઈપીએલની આઠ ફ્રેન્ચાઈઝીને બીસીસીઆઈએ એક સર્ક્યુલર મોકલ્યું છે. આ સર્ક્યુલર અનુસાર તમામ ટીમને કહેવામાં આવ્યું છે કે આ વખતે ઉદ્ઘાટન સમારોહ નહીં થાય. તેની સાથે જ બોર્ડે 2020 માટે પ્લેઓફ સ્ટેન્ડિંગ ફંડમાં અંદાજે 50 ટકાના ઘટાડાનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેના પર ફ્રેન્ચાઈઝી દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે.

પ્લોઓફ સ્ટેન્ડિંગ ફંડમાં ઘટાડો થશે તો વિજેતા અને રનર અપ ટીમને નુકસાન થશે સાથે જ ત્રીજા અને ચોથા નંબર પર રહેનારી ટીમને પણ નુકસાન ભોગવવાનો વારો આવશે. જોકે હજુ સુધી બીસીસીઆઈના આ ઘટાડા પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ જો બીસીસીઆઈના આ નિર્ણયને સ્વીકારી લેવામાં આવશે તો પ્લેઓફમાં પહોંચનારી ટીમને ભારે નુકસાન સહન કરવું પડશે.

બીસીસીઆઈ(BCCI)થી મોકલવામાં આવેલ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએલ 2020ની ફાઈનલમાં વિનરને 10 કરોડ રૂપિયા મળશે અને ફાઈનલમાં હારનારી ટીમને 6.25 કરોડ રૂપિયા અને ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનારી ટીમને 4.375 કરોડ રૂપિયા મળશે. આ પહેલા વિનરને 20 કરોડ, રનર અપને લગભગ 12.5 કરોડ અને ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનાર ટીમને લગભગ 8.8 કરોડ રૂપિયા મળતા હતા.

જોકે બીસીસીઆઈના આ નિર્ણય આઈપીએલમાં ભાગ લઈ રહેલ તમામ આઠેય ફ્રેન્ચાઈઝીને ગમ્યો નથી. બે દિવસ સુધી ચર્ચા કાર્યા બાદ ફ્રેન્ચાઈઝીઓએ સંયુક્ત રીતે બીસીસીઆઈને આ મામલે પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. આ પત્ર આગામી 24 કલાકમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીને મોકલવામાં આવશે. આ મામલે એક સૂત્રએ જણાવ્યું કે, “તમામ ફ્રેન્ચાઈઝી એક સાથે છે અને 48 કલાક ચર્યા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે બીસીસીઆઈને સંયુક્ત પત્ર લખવામાં આવશે અને કહેવામાં આવે કે આ નિર્ણય યોગ્ય નથી.”

સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર, પત્રમાં મુખ્ય મુદ્દો 50 ટકા ફી ઘટાડાને લઈને છે. આ પત્ર આગામી 24 કલાકની અંદર અધ્યક્ષને મોકલવામાં આવશે.

ભલે બીસીસીઆઈનો આ નિર્ણય ટીમનો ન ગમ્યો હોય પરંતુ જો બોર્ડ પોતાના નિર્ણય પર અડગ રહેશે તો આઈપીએલ 2020ની ચેમ્પિયન બનનારી ટીમને  ભારે નુકસાન થશે, કારણ કે આ વખતે વિજેતા ટીમને આ પહેલાની ચેમ્પિયન ટીમો કરતાં ઓછી રકમ મળશે.