સુરતમાં હેવાનિયતની ચરમસીમાઃ બાળકી પર બળાત્કાર, શરીરને ચૂંથીને 86 ઘા મરાયા, લોકોનો આક્રોશ ભડક્યો
આ કેન્ડલ માર્ચમાં ’દીકરીઓને દોઢિયાની સાથે કરાટે ક્લાસમાં મોકલવાનો સમય આવી ગયો છે‘ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ‘બળાત્કારીકો ફાંસી ફાંસી દો’ના નારા સાથે બાળાને શ્રઘ્ઘાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં રવિવારે રાત્રે પણ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે.
સુરતઃ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં હેવાલોએ 8 વર્ષની માસૂમ આસિફા પર પાશવી બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી નાંખી એ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે ત્યારે સુરતમાં પણ આ પ્રકારની ઘટના બનતાં આખો દેશ ફરી ખળભળી ઉઠ્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે પણ સવાલો પેદા થયા છે.
પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના અંગે પણ ધીરે ધીરે લોકો આગળ આવી રહ્યા છે. દોષીઓને કડક સજાની માંગ સાથે વરાછાના હીરા બાગ સર્કલથી મિની બજાર સુધી કેન્ડલ માર્ચ નિકળી હતી. કેન્ડલ માર્ચમાં લોકોએ સાથે કસુરવારોને પકડો અને કડક સજા મળે તેવી માગ સાથે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પાંડેસરાના જીઆવ-બુડિયા રોડ પરથી અવાવરું જગ્યાએથી 6 એપ્રિલે બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતું. બાળકી સાથે એ હદે ક્રૂરતા આચરવામાં આવી હતી કે તેના શરીર પર 86 ઘા હતા.
બીજી તરફ પોલીસ આ ઘટનાના દસ દિવસ પછી પણ આ ઘટનામાં કઈ માહિતી મેળવી ના શકતાં લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનાને પગલે સુરતીઓમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો હતો. આ ઘટના અંગે ધીરે ધીરે લોકો આગળ આવી રહ્યા છે અને ગત મોડી રાત્રે એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેવાનિયતની હદ વટાવીને આ બાળકી પર હેવાનોએ એ હદે ક્રૂરતા આચરી હતી કે તેના શરીર પર 86 ટલાં ઘા મારવામાં આવ્યા હતાં. પાંડેસરા પોલીસે આ બાળકી કે તેના પરિવારજનોની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. છતાં આઠ દિવસે પણ હજુ કોઈ જ પગેરૂ નથી મળી શક્યું.
બાળકીના શરીરને એ હદે ચૂંથી નંખાયું હતું કે, આજ દિન સુધી તેની ઓળખ પણ થઇ શકી નથી. પોલીસે આ મામલે બાળકીનાં માતા-પિતાની માહિતી આપનારી વ્યક્તિને રૂપિયા 20 હજાર રોકડ ઇનામ આપવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે છતાં હજુ સુધી બાળકી કોણ છે તે શોધવામાં પોલીસ નિષ્ફળ રહી છે.