હાર્દિક પટેલ ગુજરાતની કઈ બેમાંથી એક લોકસભા બેઠક પરથી 2019માં લડી શકે છે ચૂંટણી ? રાહુલને મળીને કરશે નિર્ણય ?
જો કે કોંગ્રેસ હાર્દિકને ચૂંટણી લડાવવા આતુર છે. કોંગ્રેસ પણ એક પાટીદાર યુવા આંદોલનકારીને ટિકીટ આપીને રાષ્ટ્રીય કક્ષાની રાજનિતીમાં પ્રવેશ અપાવી નવા સમીકરણને અંજામ આપવાની ગણતરીમાં છે. કોંગ્રેસ હાર્દિકને અમરેલી અથવા મહેસાણા બેઠક પરથી ઉતારવા માટે તૈયાર છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક ૫ટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટેનો સમય માગતાં હવે હાર્દિક પટેલ ૫ણ આગામી લોકસભાની ચૂંટણીમાં ઝં૫લાવે તેવી અટકળો તેજ બની છે. જો કે આ મામલે કોંગ્રેસે સત્તાવાર રીતે કોઇ ફોડ પાડ્યો નથી.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કરતાં આ વખતે ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ જીતી શકે તેમ નથી. લોકસભાની દસેક બેઠકો કોંગ્રેસને ફાળે જઇ શકે છે. તે જોતાં લોકસભાની ટિકિટ મેળવવા પણ અત્યારથી લોબિંગ થઇ રહ્યુ છે. આ સંજોગોમાં હાર્દિક પોતાના માણસો માટે લોબિઈંગ કરતો હોય એ શક્ય છે.
હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી વખતે પણ પાસના કેટલાંક હોદ્દેદારોને ટિકિટ અપાવીને ધારાસભ્ય બનાવ્યા છે. તેના કારણે હવે તે ખુદ પણ સાંસદ સભ્ય બનવા ઇચ્છુક છે કે પછી અન્ય પાટીદારોને ટિકિટ અપાવવા લોબિંગ કરી રહ્યો છે તે સવાલ પણ ઉઠ્યો છે.
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલ અમરેલી અથવા મહેસાણા એ બે બેઠકો પૈકી કોઈ એક બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ બંને જિલ્લા પાટીદાર અનામત આંદોલનના એપીસેન્ટર હતાં ને હાર્દિક ત્યાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. આ બંને જિલ્લામાં પાટીદારોની બહુમતી છે.
હાર્દિકે પોતે કહેલું કે પોતે બહુ જલદી રાહુલ ગાંધીને મળવાનો છે. તેના કારણે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે પરિણામે તે રાહુલ ગાંધીને મળવા માંગે છે તેવી અટકળો તેજ બની છે. કોંગ્રેસનાં સૂત્રોના કહેવા પ્રમાણે જો કોંગ્રેસ ટિકિટ આપે તો, આગામી લોકસભાની ચૂંટણી તે લડી શકે છે.
આગામી સપ્તાહે હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરે તેવી શક્યતા છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો છે અને તેને બહુ જલદી સમય મળી જશે એવું લાગે છે. સૂત્રો કહે છે કે, હાર્દિક પટેલ પણ હવે અનામત આંદોલનકારી નહી પણ રાજકારણી બનવા તત્પર છે.
અલબત્ત હાર્દિક પટેલ પોતે કહી ચૂક્યો છે કે, કોંગ્રેસે તેને લોકસભા ચૂંટણી લડવા ઓફર કરી હતી તેના કારણે પણ અત્યાર સુધી રાજકારણથી દૂર રહેવાની વાતો કરનાર હાર્દિક પટેલ ૫ણ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીના પંથે રાજકારણમાં ઝં૫લાવશે તેવી વાતો વહેતી થઈ છે. તેના કારણે રાજકીય ઉત્તેજના પ્રસરી ગઇ છે.