'સુરતના બે ઉદ્યોગપતિએ 50 લાખ-કારની ઓફર કરી', પાસના કયા નેતાએ કર્યો દાવો?
સુરત પાસના સહ કન્વીનર ભાવેશ ઝાઝડીયાએ ફેસબૂક પર એક પોસ્ટ અપડેટ કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, હાર્દિક કે લાલજી પટેલની ખોટી રીતે ધરપકડ થશે તો હું હાઈકોર્ટના કંપાઉન્ડમાં આત્મવિલોપન કરીશ. જેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
સુરતઃ પાસ કન્વીનર નરેન્દ્ર દ્વારા ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાની ઓફર થઈ હોવાનું અને ભાજપમાં પરાણે જોડીને રૂપિયા દસ લાખ રોકડા આપ્યાનો દાવો કરાયો છે, ત્યારે અન્ય એક પાસના કન્વીનર દ્વારા બે ઉદ્યોગપતિઓ દ્વારા આંદોલનમાંથી ખસી જવા 50 લાખ અને કારની ઓફર કરી હોવાનો દાવો કરાયો છે.
તેણે એમ પણ કહ્યું છે કે, ભાજપની સરકાર સમજી લે. વહીવટી તંત્ર દ્વારા કોઈ અન્ય પગલુ ભરીને પાટીદાર સમાજને ખોટી રીતે હેરાન કરે નહીં એવી મારી અરજ છે. આમ, હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શાસક પક્ષની પાટીદારોએ ઉંઘ હરામ કરી નાંખી છે.
વિસનગર કોર્ટ દ્વારા ગઈ કાલે હાર્દિક અને લાલજી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યૂ કરાતાં સુરત પાસ સહ કન્વીનર ભાવેશે ફેસૂબક પર ચિમકી આપી છે. ભાવેશે જણાવ્યું હતું કે, ગઈ કાલે પાસના આંદોલનમાંથી ખસી જવા સુરતના બે ઉદ્યોગપતિઓએ મને આંદોલનમાંથી ખસી જવા લાલચ આપી છે, પરંતુ હું કોઈ આવી લાલચમાં આવવાનો નથી. મારા છેલ્લા શ્વાસ સુધી હું પાટીદાર સમાજ માટે લડત આપીશ.
ભાવેશે લખ્યું છે કે, પાસના આંદોલનમાંથી ખસી જવા માટે બે ઉદ્યોગપતિઓએ રૂપિયા 50 લાખ અને કારની ઓફર કરી છે. પરંતુ હું પાટીદાર સમાજના હિત માટે જીવ જાશે તો પણ મને માન્ય હશે.