સુરતમાં પોલીસે પાસના કાર્યકરોને ફટકારતાં હાર્દિકે દર્શાવ્યો આક્રોશ, જાણો સરકારને આપી શું ખુલ્લી ધમકી ?
સુરતઃ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને સુરતમાં પાટીદારોના ગઢ એવા વરાછાના હીરાબાગમાં સભા કરવી ભારે પડી હતી. વરાછામાં ભાજપની એક પણ કાર્યક્રમનું આયોજન નહી થવા દેવાય તેવી પાસની ચેતવણી આપી હતી છતાં ઋત્વિજ પટેલે વિજય ટંકાર સંમેલનનું આયોજન કર્યું હતું. જેનાથી ગુસ્સે ભરાયેલા પાસના કાર્યકરોએ કાર્યક્રમમાં ટામેટા ફેંકી વિરોધ કર્યો હતો. જેને પગલે પોલીસે પાસના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાકની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલે આ ઘટના વિરોધમાં અનેક ટ્વિટ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પાસ કાર્યકરોના વિરોધને પગલે ઋત્વિજ પટેલે સભા છોડીને ભાગી જવું પડ્યું હતું. ભાજપના સંખ્યાબંધ કાર્યક્રમોને પોલીસ મંજૂરી આપી રહી છે આ મુદ્દે પાસના કાર્યકરો આક્રમક મૂડમાં આવી ગયા હતા અને કાર્યક્રમમાં ટમેટાં સાથે પથ્થરો પણ ફેંક્યા હતા. જેના કારણે મામલો તંગ બન્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે પાટીદાર યુવાનોને બેફામ રીતે ફટકાર્યા પણ હતા.પોલીસે પાસના ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી
હાર્દિકે ટ્વિટમાં જણાવ્યું હતું કે, સુરત પાસ કન્વીનર અને પાટીદાર યુવાનોને તત્કાલીન છોડવામાં નહિ આવે તો ગુજરાત માં શરૂ થશે ક્રાંતિ માર્ગ. ત્યારબાદ સુરતમાં પાટીદારોએ તોફાન શરૂ કર્યા હતા. જેનાથી વિફરેલા ટોળાએ બે બસો ફૂંકી મારવા ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.
ટ્વિટમાં હાર્દિકે જણાવ્યું હતું કે પાટીદાર વિસ્તારમાં ભાજપને કાર્યક્રમ કરવાની મંજૂરી ના આપવી એવી રજૂઆત પોલીસ કમિશ્નરને પહેલા કરી ચુક્યા છીએ.પાટીદારોને મંજૂરી આપતા નથી. બાદમાં પાસ કાર્યકરોને પોલીસે છૂટ્યા બાદ હાર્દિકે ટ્વિટ કર્યું હતું કે, પાસ કન્વીનર અને આંદોલનકારીઓને છોડી મુકવામાં આવ્યા છે. જય હિન્દ,ઇન્કલાબ જિંદાબાદ
હાર્દિકે કહ્યું કે, લોકશાહી ઢબે વિરોધ કરીએ છીએ તો પછી લાઠીચાર્જ શા માટે ??? શા માટે અમને હેરાન કરી રહ્યા છો.અમે ભારતીય છીએ.હાર્દિકે કહ્યું કે, કોઈ પણ યુવાન પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે જે તાનાશાહી નું ચિત્ર છે. ગુજરાત પાસ સહકન્વીનર અને સુરત પાસ કન્વીનર અલ્પેશભાઈ તથા કાર્યકર્તા ને લાલ સલામ (ઇન્કલાબ જિંદાબાદ)