પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું-'બીજો કોઇ રસ્તો નહોતો'
વિદ્યાર્થિનીના આપઘાત સંદર્ભે પોલીસે તેના પિતાનું નિવેદન લીધું હતું તેમણે કહ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા પુત્રી ઘરે આવી હતી.તે સમયે તેણે એક્ઝામમાં ફેઇલ થઇ હોવાનું અને બીજી વખત જે પરીક્ષા આપી છે તેમાં પણ ફેઇલ થાય તેવો ડર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં હતી. ડીએનબીમાં ફેઇલ થઇ તો વાંધો નહિ તેવું આશ્વાસન પણ આપ્યું હતું.
પોસઈ સી.કે.નીનામાએ તપાસ હાથ ધરી છે અને તેની રુમ પાર્ટનર ડો.પારુલ પ્રજાપતિનું પણ નિવેદન લીધું હતું. રાજકોટમાં ફરજ બજાવતી હિરલ ઠુમ્મર એક મહિના પહેલાં વડોદરામાં બદલી કરાવીને મમ્મી -પપ્પા સાથે વડોદરા રહેવા આવી હતી.પરંતુ માતા-પિતા સાથે રહેવાનું તેનું સપનું રોળાઈ ગયું હતું.
સુસાઇડ નોટમાં હિરલે આપઘાત પાછળનું કારણ આપતાં લખ્યું હતું કે, 'હું મારા કાર્ય માટે કોઇને પણ જવાબદાર માનતી નથી. બસ, ડીએનબીની એક્ઝામને લઇ થોડું ડિપ્રેશન આવતું હતું. બીજો કોઇ ઓપ્શન ન હતો.' પોલીસ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે લખાણ વેરિફાઇ કરાવ્યા બાદ વધુ તપાસ હાથ ધરશે.
વડોદરાઃ સયાજી હોસ્પિટલ સંકુલમાં આવેલી ન્યૂ પીજી મેડિકલ હોસ્ટેલમાં રહી એનેસ્થેસિયા વિભાગમાં અનુસ્નાતકનો અભ્યાસ કરતી તબીબ યુવતીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. હિરલ નામની વિદ્યાર્થીનીએ એમડીની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી જાતે બેભાન થવાની દવાનું ઇન્જેકશન લઈ આપઘાત કરી લીધો હતો. પોલીસને હિરલના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.