ગીર અભ્યારણ્ય વિસ્તારમાં પસાર થનાર રેલવે લાઈનને લઈ એમિક્સ ક્યૂરીએ ઉઠાવ્યો વાંધો
રાજ્યમાં સિંહોના થતાં અકાળ મૃત્યુનો મામલો : સિંહના અકાળ મૃત્યુને લઇને થયેલી જાહેરહિતની અરજીમાં ચોંકાવનારી વિગતો આવી સામે છે. ગીર અભયારણ્યમાંથી વેરાવળ કોડીનાર રૂટ પરથી પસાર થનાર રેલ્વે લાઈનને લઈને એમિકસ ક્યુરી એ કોર્ટમાં પોતાનો વાંધો રજુ કર્યો છે. કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટને જણાવ્યું કે રેલવે લાઇન નાખવામાં આવશે તો ઘણા બધા સિંહોના અકાળે મૃત્યુ થઈ શકે છે. સંભવિત રેલવે લાઇન માટે અભયારણ્ય વિસ્તારની દોઢસો હેક્ટર જેટલી જગ્યા લેવાનું પ્લાનિંગ હોવાની વાત પણ કોર્ટ મિત્રે કોર્ટના ધ્યાને મૂકી છે. અભયારણ્યની જમીન સંપાદિત કરવા સામે પણ કોર્ટ મિત્રે વિરોધ રજૂ કર્યો છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ ની વાત કરતી સરકાર આ પ્રકારના પગલા લે તે વ્યાજબી નહીં તેવી કોર્ટ મિત્રે કોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલય સહિતના પક્ષકારોને પાસે ખુલાસો માંગ્યો છે અને 22 ડિસેમ્બર સુધીમાં તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટના નિર્દેશ કર્યા છે.