મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.


ઋષિ કપૂરની વિદાયથી સમગ્ર કપૂર પરિવાર સહિત બોલિવૂડ શોકમાં છે. આ દરમિયાન ઋષિ કપૂરની ભત્રીજી કરિશ્મા કપૂરે તેના કાકા સાથેની બાળપણની તસવીર શેર કરી છે. જેમાં એક સાથે ત્રણ પેઢી (રાજકપૂર, ઋષિ કપૂર અને કરિશ્મા કપૂર) સાથે જોવા મળે છે.


કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર બાળપણની તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું, મેં હંમેશા પરિવારને જોયો છે. ચિંટૂ ચાચા તમારી સાથે જમવું અને રેસ્ટોરાંમાં ચર્ચાને ખૂબ મિસ કરીશું. આ સાથે તેણે એક તૂટેલા દિલની ઈમોજી પણ પોસ્ટ કરી છે.

કરિશ્મા અને કરીના ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરની પુત્રીઓ છે.

Photos: ઋષિ કપૂરની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય