અમદાવાદઃ મહા વાવાઝોડુ ભયંકર વિનાશ નોંતરશે તેવો ભય ટળ્યો છે અને હવે તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળી રહી છે. આજે સવારે  અમદાવાદના  પ્રહલાદનગર, જોધપુર ચાર રસ્તા, ઇસ્કોન, એસજી હાઇવે, આંબાવાડી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ગીર સોમનાથમાં પણ વહેલી સવારે વરસાદનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ગઈકાલે સુરતમાં પડેલા એક ઈંચ વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા.


છોટાઉદેપુરના બોડેલી, નસવાડીમાં  કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાના નિઝામપુરા, સમાં, ગોત્રી,હરિનગર, સુભાનપુરા, ઇલોરાપાર્ક, સયાજીગંજ, ફતેગંજ, ન્યુ વીઆઇપી રોડ, કારેલીબાગ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી લોકો ચિંતિત થયા છે.

કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં હાલ ધીમી ધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. વેરાવળના ભેટાળી, રામપરા, કોડીદ્રા, કુકરાસ અને આજુબાજુના ગામોમાં સામાન્ય વરસાદ શરૂ થયો છે. જુનાગઢમાં પણ વરસાદ પડ્યો છે. જેના કારણે લીલી પરિક્રમામાં આવેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન મધ દરિયે ચક્રવાતનો વીડિયો સામે આવ્યો છે. વેરાવળના માછીમારે તેના મોબાઇલમાં ઉના-કોડીનાર વચ્ચે દરિયાના રૌદ્ર સ્વરૂપને કેદ કર્યું છે.



ગુજરાતમાં બુધવારે રાત્રે 10 વાગ્યા સુધી 26 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગરના કાલાવાડમાં 1.4 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 1.3 ઈંચ, ગઢડામાં 1 ઈંચ, વઢવાણ-ચોટીલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.



આ દરમિયાન બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સમક્ષ તમામ બાબતોનું વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમને આ અંગે માહિતગાર કર્યા હતા. પંકજ કુમારે અહીં આ બેઠકમાં જ જણાવ્યું કે હજુ પણ જિલ્લા તંત્રો ખડેપગે જ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી.  મહા ચક્રવાત હવે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાવાનું નથી પણ તે દીવ પાસેથી જ પસાર થઇને દૂર ફંટાઇ જશે.

રાજકોટમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી T 20 , જાણો કેવું રહેશે હવામાન