Government Jobs: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂન 2023 ના રોજ રોજગાર મેળામાં 70,000 લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. મંગળવારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાના આ કાર્યક્રમમાં જોડાશે, જેમાં નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે દેશભરમાં 43 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.


આ વિભાગોમાં નોકરીઓ ઉપલબ્ધ થશે


કેન્દ્ર સરકારના વિભાગો ઉપરાંત, આ નિમણૂક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવી રહી છે. સરકારના વિવિધ વિભાગો જેમ કે નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, રેલ્વે મંત્રાલય, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ અને ગૃહ મંત્રાલયમાં દેશભરમાં નવા નિયુક્ત કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.


રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું છે. રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.


નવા ભરતી કરાયેલા સરકારી કર્મચારીઓને પણ iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રરંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક મળી રહી છે, જ્યાં 400 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કર્મચારીઓ ગમે ત્યાંથી અને કોઈપણ ઉપકરણ દ્વારા તેની સાથે કનેક્ટ થઈ શકે છે.


આ પહેલા 16 મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71,000 લોકોને નિમણૂક પત્ર આપ્યા હતા. ગયા વર્ષે જૂનમાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે. વડાપ્રધાને પોતે જૂન 2022માં તમામ સરકારી મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી હતી, ત્યારબાદ ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ


હવે આ સરકારી બેંકના ખાતાધારકો ફીચર ફોન દ્વારા પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે, જાણો શું છે નવી સિસ્ટમ