Lok Sabha Election 2024: રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ફરી એકવાર કેસરિયો કરવા મેદાનમાં ઉતર્યુ છે, તો સામે કોંગ્રેસ ભાજપના વિજય રથને રોકીને ખાતુ ખોલાવવા પ્રયાસ કરશે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો પહેલાથી જ ઉતારી દીધા છે, જોકે, કોંગ્રેસ ગુજરાતની ચાર બેઠકો પર હજુ પણ અવઢવમાં છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ આજે કે આવતીકાલે પોતાના બાકી રહેલા ચાર ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે. 


આજે કોંગ્રસને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. લોકસભાની ચાર બેઠકોના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં હજુપણ મંથન ચાલી રહ્યું છે. રાજ્યમાં ચાર લોકસભા બેઠકો જેમાં મહેસાણા, રાજકોટ, અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે. કોંગ્રેસના મહેસાણા, રાજકોટથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ અને નવસારીથી ઉમેદવાર જાહેર કરવાના બાકી રાખ્યા છે. રાજકોટ બેઠકથી પરેશ ધનાણી ઉમેદવાર તરીકે નક્કી કરાઇ ચૂક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ નવસારીથી નૈષદ દેસાઈ ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે, તો મહેસાણા બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ આપવાનું વિચારી રહી છે. ખાસ વાત છે કે, કોંગ્રેસ લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કરવાના બાકી રાખ્યા છે. સુત્રો અનુસાર, આજે રાત્રે અથવા તો આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરી શકે છે.


 


રાજકોટમાં ઘમાસાણ, ભાજપ Vs ક્ષત્રિયો વિવાદ વચ્ચે 14મીએ ક્ષત્રિયોનું મહાસંમેલન, તો ભાજપ 16મીએ કરશે મહારેલી


રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે, તો બીજીબાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર એક બિનરાજકીય સંમેલનમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. જે પછી રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો, જે હજુ પણ યથાવત છે. હવે આ બધાની વચ્ચે બન્ને પક્ષો રાજકોટમાં ધમાસાણ કરવા ઉતરી રહ્યા છે. 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહાસંમેલન કરવાનું નક્કી કર્યુ છે, તો સામે ભાજપે 16મી એપ્રિલ મહા સભા કરવાનું એલાન કર્યુ છે. હાલમાં બન્નેએ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.


ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઇ રાજકોટમાં વધુ ઉગ્ર બનશે, હાલમાં જ ક્ષત્રિય સમાજે એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં મહાસંમેલન યોજાશે, જેમાં એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની રાજકોટમાંથી ટિકીટને રદ્દ કરવી જોઇએ. ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભાએ આજે નિવેદન કર્યુ છે, તે પ્રમાણે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. 


રૂપાલા વિરૂદ્ધ હવે ક્ષત્રિય આગેવાન રમજુભાએ એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલન રતનપર નજીકના રામ મંદિર સામે યોજાશે. સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યુ છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. રમજુભાએ વધુમાં કહ્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે, આ રાજકીય નહીં, સામાજિક આંદોલન છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય. રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઈએ તેવી સમાજની માંગ છે. 


ક્ષત્રિયો અને રૂપાલા વિવાદની વચ્ચે હવે ભાજપ પણ અડગ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપનું સંમેલન યોજાશે. માહિતી પ્રમાણે આગામી 14મી એપ્રિલે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે, સામે 16મી એપ્રિલે ભાજપ પણ સંમેલન યોજશે. 16મી એપ્રિલે રાજકોટના રેસકૉર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. વિજય વિશ્વાસ સંમેલનની ભાજપે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંબોધન બાદ લોકસભા બેઠક પર રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે. ભાજપે આ દરમિયાન જણાવ્યુ છે કે, કોંગ્રેસમાથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તો પણ ભાજપને ફરક નહીં પડે. પરેશ ધાનાણી કવિતા લખવામાં જ માહિર છે.