Lok Sabha Elections 2024: બિહાર સરકારના મંત્રી નીતિન નવીને શુક્રવારે (26 એપ્રિલ) લાલુ પરિવાર અને મીસા ભારતી પર પોતાને સનાતની કહેવા બદલ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે લાલુ પરિવાર ચૂંટણી સમયે સનાતન ધર્મને યાદ કરી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનો પુત્ર સનાતન ધર્મ પર સસ્તી ટિપ્પણી કરી રહ્યો હતો અને અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે લાલુ પરિવાર કેમ ચૂપ હતો?


નીતિન નવીનનો લાલુ પરિવાર પર એટેક 
ભાજપના નેતા અને મંત્રી નીતિન નવીને કહ્યું, "આખો લાલુ પરિવાર કેમ ચૂપ હતો, જ્યારે આરજેડી ક્વૉટાના મંત્રીએ પોતે સનાતન, રામ અને રામાયણનું અપમાન કર્યું હતું. લાલુ પરિવારે હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો છે. લાલુ પરિવાર પાંચ વર્ષ સુધી ટોપી પહેરીને સનાતનનો વિરોધ કરતો રહ્યો, આજે મત લેવા માટે ખુદને સનાતની ગણાવી રહ્યાં છે.


તેજસ્વી પ્રસાદ યાદવની ચૂંટણી રેલી પર નિશાન સાધતા નીતિન નવીને કહ્યું કે તેજસ્વી તેમની ચૂંટણી સભામાં માત્ર નોકરી આપવાની વાત કરી રહ્યા છે, જે તેમણે આપી નથી. તેમના મંત્રીઓ બે મહિનાથી ઘરમાં હતા. નોકરીઓ આપવાનું કામ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જે એનડીએ સરકારના સમયમાં શરૂ થયું હતું. તેજસ્વી પ્રસાદ યાદવ ભલે લાખો ચૂંટણી સભાઓ કરે, પરંતુ જનતા તેમને ગંભીરતાથી લઈ રહી નથી.


લાલુ યાદવના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા 
વાસ્તવમાં તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મીસા ભારતીએ મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે અમે પણ સનાતની છીએ, સવાર-સાંજ પૂજા પણ કરીએ છીએ. અત્યારે અમે વ્યસ્ત છીએ, ત્યાર બાદ અમે રામ મંદિરના દર્શન કરવા જઈશું. રામ દરેકના છે અને દરેકના હૃદયમાં વસે છે. આ સિવાય લાલુ પરિવાર લોકસભા ચૂંટણીમાં તેમની બંને દીકરીઓની સફળતા માટે ભગવાન સત્યનારાયણની પૂજામાં વ્યસ્ત છે. જેને લઈને નીતિન નવીને લાલુ પરિવાર પર નિશાન સાધ્યું છે.