નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધન વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. હિંદુ મહાસભાના નેતા પ્રમોદ જોશીએ અરજીમાં કહ્યું હતું કે, ચૂંટણી પૂર્વે ગઠબંધન તોડી નવા ગઠબંધનની સરકાર બનાવવું મતદાતાઓ સાથે વિશ્વાસઘાત છે. તેમના મુખ્યમંત્રી(ઉદ્ધવ ઠાકરે)ને શપથ લેતા અટકાવવા જોઈએ.


ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમત મળી નથી. ચૂંટણીમાં શિવસેના-ભાજપ અને કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામ બાદ મુખ્યમંત્રી પદની માંગ કરતા શિવસેનાએ ભાજપ સાથે 30 વર્ષ જૂનો નાતો તોડી નાખ્યો હતો અને કૉંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી હતી.

23 નવેમ્બરે અચાનક ભાજપે એનસીપીના નેતા અજિત પવારના સમર્થનથી સરકાર બનાવી લીધી હતી. રાજ્યપાલે સવારે સાડા સાત વાગ્યે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને શપથ લેવડાવ્યા હતા. કૉંગ્રેસ-એનસીપી-શિવસેનાએ રાજ્યપાલના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડાકાર્યો હતો.

મહારાષ્ટ્રના CM બન્યા ઉદ્ધવ ઠાકરે, કોને મળવાં દિલ્હી જશે? શપથ ગ્રહણમાં ભાજપના કયા ટોચના નેતાઓને આમંત્રણ અપાશે? જાણો વિગત

સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મંગળવારે રાજીનામું આપી દીધું હતું. સાંજે શિવેસના, NCP અને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની સર્વાનુમતે વરણી થઈ હતી. હવે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બનશે.