Lok Sabha Election 2024 Live: ગુજરાતમાં રૂપાલા Vs ક્ષત્રિયો, ઠેર ઠેર શરૂ થયું પૉસ્ટર અને બેનર વૉર

Lok Sabha Election 2024: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકીટ કાપવાને લઇને મેદાનમાં છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Apr 2024 02:40 PM
રાજકોટથી રૂપાલા 16મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્રક

ક્ષત્રિયો સાથેના વિવાદ વચ્ચે રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે.ઉમેદવારી પત્ર ભરતા અગાઉ રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં જંગી સભાને સંબોધશે.


શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એક બાજુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમની સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોક આગામી 16 તારીખે ભાજપે સભાનું આયોજન કર્યું હતું. રૂપાલા 16 તારીખના રોજ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે. રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

લોકસભા ચૂંટણી પહેલા બોટાદમાં AAPને ઝટકો

લોકસભા ચૂંટણી અગાઉ બોટાદમાં આમ આદમી પાર્ટી (આપ)ને મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બોટાદ આપ શહેર પ્રમુખ, બોટાદ આપ સંગઠન મંત્રી,બોટાદ આપ શહેર મહામંત્રી અને બોટાદ મહિલા મોરચાના પ્રમુખ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ આગેવનોની હાજરીમાં આપના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આપના શહેર પ્રમુખ કાળુભાઇ રાઠોડ, સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ ,શહેર મહમંત્રી ઓઢભાઈ ધાંધલ ,મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરીયા સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પીએમ મોદીની વિચારધારા તેમજ લોકોની વધુમાં વધુ સેવા કરીએ તેમજ મોદીના કામમાં જોડાવવાની ભાવના સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. આપના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ થતા ન હોવાના આક્ષેપ તેઓએ લગાવ્યો હતો. ભાજપમાં સામેલ થયા બાદ કાળુભાઇ રાઠોડે જણાવ્યું કે મોદી સરકાર દ્ધારા કરવામાં આવતા વિકાસના કામો તેમજ બોટાદમાં આપના ધારાસભ્ય હોય તેમ છતાં વિકાસના કામો થતા ન હોય ત્યારે ભાજપમાં વિકાસના કામ થતા હોય જેને લઈ આજે આમ આદમી પાર્ટી છોડી અમે કેસરિયો ધારણ કર્યો છે. હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા.

'રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઇએ,... અમે સમર્થનમાં છીએ' -પાટીદાર સમાજનું રૂપાલાને સમર્થન

ગુજરાતમાં રૂપાલા વિવાદ સતત વધી રહ્યો છે. ક્ષત્રિયોએ ગઇકાલે ધંધૂકામાં મહારેલી યોજીને મહાસંમેલન ભર્યુ હતુ, આ સંમેલન દરમિયાન રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ ફરી એકવાર પાક્કી કરાઇ હતી. હવે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર શહેરમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જિલ્લાના શહેરના વઢવાણ રૉડ પર પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ ના થવી જોઈએ તેવા લખાણો સાથે પાટીદાર સમાજ દ્વારા બેનરો લગાડીને સમર્થન આપવામાં આવ્યુ છે. પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગતા જિલ્લાનું સ્થાનિક રાજકારણ ફરીથી ગરમાયું છે. 

શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 

પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!' - રૂપાલાનું ટ્વીટ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે, 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!'. ક્ષત્રિય સમાજના સખત વિરોધ અને વિવાદોની વચ્ચે આ ટ્વીટથી ફરીથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટમાં રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એકવાર મોદી સરકાર, લખવામાં આવ્યુ છે. આ વીડિયોમાં પરશોત્તમ રૂપાલાને રાજકોટ શહેરના અલગ-અલગ કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર કરતા બતાવવામાં આવ્યા છે. રાજ્યમાં એકબાજુ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શનો અને સભાઓ ભરાઇ રહી તો, તો બીજીબાજુ પરશોત્તમ રૂપાલા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યારે પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં મોટા ભાગનો પ્રચાર પૂર્ણ કરી લીધો છે.


રૂપાલાએ ટ્વીટ કર્યુ છે 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!' આ સાથે હેશટેગ #PhirEkBaarModiSarkar, #AbkiBaar400Paar #Rupala4Rajkot પણ લગાવાયા છે.

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર ?

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

ગેનીબેન ઠાકોરે પોલીસ અને અધિકારીઓ પર લગાવ્યા હપ્તાખોરીના આરોપો, શું બોલ્યા ?

રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ બનાસકાંઠા બેઠક પર પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપની સાથે સાથે પોલીસ અને અધિકારીઓને પણ આડા હાથે લીધા હતા. તેમને પોલીસ અને અધિકારીઓ પર હપ્તાખોરીનો ગંભીર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ અને અધિકારીઓ પર હપ્તા લેવાના આરોપો લગાવ્યા, તેમને એક સભા દરમિયાન કહ્યું કે, વહીવટી રીતે અધિકારીઓને સરકારે છુટો દોર આપી દીધો છે. તેમને મર્યાદાઓ છોડી દીધી છે. શાકભાજીવાળા અને નાના વેપારી પાસેથી પોલીસ હપ્તા માંગે છે. વળી, મોટા વેપારી અને જ્વેલર્સ પાસેથી GSTના અધિકારી હપ્તા માંગે છે, ઠેર ઠેર હપ્તાખોરી વધી છે. ગેનીબેનના આ આરોપો બાદ રાજ્યમાં ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે. 

ગુજરાતમાં રૂપાલા Vs ક્ષત્રિયો, શરૂ થયું પૉસ્ટર-બેનર વૉર

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકીટ કાપવાને લઇને મેદાનમાં છે, તો વળી, ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા મક્કમ છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, ગઇકાલે આ અંતર્ગત ધંધૂકામાં રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યુ હતુ, બીજીબાજુ ભાજપ મામલાને શાંત કરવા બેઠકો પર બેઠકો કરી રહ્યું છે. જાણો અહીં મોટુ અપડેટ્સ

સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

ક્ષત્રિય સમાજનું વિરોઘ પ્રદ્શન યથાવત છે. સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના વિરોધમાં  નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોતમ રૂપાલો  વિરોધ કર્યો હતો. સ્નેહમિલનમાં ચોટીલાના ધારાસભ્ય પણ  હાજર રહ્યાં હતા.


વિવાદની વચ્ચે સુરત સ્નેહ સંમેલનમાં પરષોતમ રૂપાલાનું સન્માન

વિવાદની વચ્ચેચ રાજકોટ   ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું આજે  સુરતમાં પાટીદારના સ્નેહ મિલનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ સભામાં  પરશોત્તમ રૂપાલા સાથે ડો.ભરત બોઘરા પણ ઉપસ્થિત હતા.પરશોત્તમ રૂપાલાએ સુરતમાં ઉમિયાધામના  દર્શન કર્યાં હતા. વિવાદ અને વિરોધની વચ્ચે પાટીદારોએ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનમાં તેમનું સ્વાગત કર્યું હતું. ગોપીન ગામમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકોએ કર્યુ રૂપાલાનું સન્માન કર્યું હતું. 


પરશોત્તમ રૂપાલાને મળ્યો મોરબીના ધારાસભ્યનો સાથ

વિવાદમાં ઘેરાયેલા રૂપાલાની સમર્થનમાં એક એક બાદ ભાજપના નેતા મેદાને આવી રહ્યાં છે. હવે મોરબીના MLA કાંતિ અમૃતિયા પણ રૂપાલાના સમર્થનમાં સામે આવ્યાં છે.  તેમણે એક વીડિયો પોસ્ટ કરીને સમર્થન  જાહેર કર્યું છે વીડિયોમાં કહ્યું કે. “રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ”


ગૃહમંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ભરી શકે છે ઉમેદવારી પત્ર

ગાંધીનગર બેઠકથી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકે છે.ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર  ભરવા પહોંચશે. 17 એપ્રિલ રામનવમીના દિવસે અમિત શાહ  રોડ શો પણ કરશે અને આ  સાથે તેઓ સભાને પણ સંબોધશે.લોકસભા અંતર્ગતની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2019માં શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી  જીત મળી હતી. 2019માં અમિત શાહને  69.67 ટકા મત મળ્યાં હતા.


પ્રશાંત કોરાટના નિવેદનને કૉંગ્રેસે ગણાવ્યું હાસ્યાસ્પદ

લોકસભાની ચૂંટણી અને  પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદન વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ગયો છે. હેમાંગ રાવલે જણાવ્યું કે,“ભાજપે પોતાની બુદ્ધીનું પ્રદર્શન કર્યુ છે, ભાજપના નેતાઓ ભુલો પર ભુલો કરી રહ્યા છે.ભાજપના નેતાઓએ માનસિક રીતે દેવાળીયું ફુક્યું  છે. ભાજપે ક્ષત્રિય સમાજના આંદોલનનું અપમાન કર્યુ છે”


લોકસભાની ચાર બેઠકોના ઉમેદવારને લઈ કૉંગ્રેસમાં સસ્પેન્સ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. છતાં પણ હજુ કોંગ્રેસમાં  રાજકોટ,મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી બેઠકને લઈ સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસ રાજકોટમાં સૌથી છેલ્લે ઉમેદવાર જાહેર કરવાની રણનીતિ   અપનાવી રહી છે. રાજકોટમાં છેલ્લી ઘડીએ મેદાનમાં પરેશ ધાનાણીને ઉતારે તેવી શક્યતા જોવાઇ રહી છે. મહેસાણામાં લાલજી દેસાઈ તો નવસારીમાં નૌષદ દેસાઈને મેદાને ઉતારે તેવી સંભાવાના છે. અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલને ચૂંટણી લડાવાય તેવી શક્યતા  જોવાઇ રહી છે. વિધાનસભાની પેટાચૂંટણીની પાંચ બેઠકોના ઉમેદવાર મુદ્દે પણ સસ્પેન્સ  યથાવત છે. વિજાપુર બેઠક પર સી.જે.ની સામે કડવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારી શકે


રૂપાલા સામેના આક્રોશ અંગે ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય

પરષોતમ રૂપાલાએ કરેલા નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. રૂપાલા સામેના આક્રોશ અંગે ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ક્ષત્રિય સમાજના કોઈપણ રાજકીય વ્યક્તિને આંદોલનમાં  સામેલ નહી કરાય. આંદોલનને રાજકીય રંગ ન પકડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય વ્યક્તિ આંદોલનમાં યોગદાન આપી શકે પણ જવાબદારી નહીં, શનિવારે રાજકોટમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો.


પ્રશાંત કોરાટના આરોપ પર લલિત વસોયાના પલટવાર

પ્રશાંત કોરાટે કરેલ નિવેદનને લલિત વસોયાએ શરમજનક ગણાવ્યું છે. લલિત વસોયાએ કહ્યું કે, “ ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપના કૉંગ્રેસ પર ખોટા આરોપ લાગાવે છે.ભાજપ સમાજ-સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે,રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યુ છે. કૉંગ્રેસે નહીં ભાજપના આગેવાનોએ ભાગલા પાડ્યા છે’


બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024 Live Blog Updates: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકીટ કાપવાને લઇને મેદાનમાં છે, તો વળી, ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા મક્કમ છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, ગઇકાલે આ અંતર્ગત ધંધૂકામાં રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યુ હતુ, બીજીબાજુ ભાજપ મામલાને શાંત કરવા બેઠકો પર બેઠકો કરી રહ્યું છે. જાણો અહીં મોટુ અપડેટ્સ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.