જૂનાગઢ રાજયનો આર્થિક બહિષ્કાર કરવાને પગલે શાહનવાઝની મૂંઝવણ હવે દિવસેને દિવસે વધતી જોવા મળે છે. જૂનાગઢ આસપાસના રજવાડાઓએ શાહનવાઝ ભુટ્ટોની આર્થિક મદદની માંગને કોઈ ખાસ મહત્વ ન આપવાને પગલે રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ફાંફા પડવા લાગ્યા હતા.  બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા.  આરઝી હકૂમતના પ્રધાનમંત્રી શામળદાસ ગાંધી જાણતા હતા કે આર્થિક મોરચે જૂનાગઢને ભીંસમાં લેવામાં  સફળતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે હવે જૂનાગઢને યુધ્ધના મેદાને પણ ભીંસમાં લેવાનો સમય આવી ગયો છે. જો કે આરઝી હકૂમત પાસે કોઈ સેના ન હોય અને જૂનાગઢ લશ્કર સામે બાથ ભીડવાની હોય તેમને સેના ઊભી કરવી જોઈએ તેવો મત આગેવાનો સમક્ષ રજૂ કર્યો.  જૂનાગઢને આઝાદી અપાવવા માટે લોકોનું સમર્થન મળી રહે તે માટે આરઝી હકૂમતે સેના ઊભી કરવાની શરુઆત કરી અને નામ આપ્યુ લોકસેના.





1947માં જૂનાગઢ રાજય પાસે હાથી અને અશ્વ દળ ઉપરાંત મોટુ લશ્કર હતું. નવાબ તેમના શ્વાનપ્રેમ, નાટકપ્નેમ અને હરવા ફરવાના શોખને કારણે વિદેશમાં રહેતા અથવા તો રાજયના અલગ-અલગ શહેરોમાં રહેતા જેના પરિણામે રાજકાજ પર ઓછું ધ્યાન આપતા. આ સ્થિતીમાં રાજયનું મોટાભાગનું કામકાજ દિવાન સંભાળતા. નવાબ મહાબત ખાનના દિવાન બિમારીને પગલે વિદેશમાં સારવાર અર્થે ગયા ત્યારે નવાબે વિદેશથી શાહનવાઝ ભુટ્ટોને દિવાન બનાવેલા. ચતુર દિવાન ભુટ્ટોએ પદ સંભાળ્યા બાદ રાજયના તમામ વિભાગોમાં પોતાના ખાસ માણસોની નિમણૂક કરી હતી જેમાં લશ્કરમાં સિંધના ખાસ સરદારોનો પણ સમાવેશ થતો હતો. 




(નવાબ મહાબત ખાન અને શાહનવાઝ ભુટ્ટો)


દિવાન શાહનવાઝ ભુટ્ટો લારકાના સિંધ (હાલ પાકિસ્તાન )ના જાગીરદાર પરિવારમાંથી આવતા હતા. સિંધના સરદારો અને ખાસ કરીને ત્યાંના ડફેરો પર તેમનુ સારુ એવુ વર્ચસ્વ હતુ. આ સિંધથી આવેલા સરદારો ઉપરાંત ડફેરોએ જૂનાગઢ રાજયના આસપાસના સરહદી વિસ્તારોમાં ખૂબ ધાક ફેલાયેલી  હતી. ભુટ્ટોએ નવાબે પાકિસ્તાનમાં ભળવાના નિર્ણયને પગલે પ્રજામાં ઊભા થયેલા રોષને ખાળવા માટે લશ્કરના સરદારો ઉપરાંત સિંધના ડફેરોને છુટ્ટો દોર આપ્યો હતો. લૂંટફાટ અને ધાડ પાડવામાં માહેર ડફેરોને ભુટ્ટોનું ફરમાન પેલી કહેવત 'ભાવતુ હતુ ને વૈદે કીધુ' જેવી સાબીત થઈ. પ્રજા પર ત્રાસ ગુજારવાનો જાણે કે પરવાનો આપ્યો હોય તેમ તેઓએ કોઈપણ ભોગે લૂંટફાટ અને મોટા વેપારીઓને નિશાન બનાવ્યા. જૂનાગઢ રાજયમાંથી હવે નવાબના શાસન સામે લોકોમાં રોષ વધતો જઈ રહ્યો હતો તો બીજી તરફ જૂનાગઢ રાજયના અધિકારીઓ દ્રારા પ્રજાને કનડગત વધવાથી હજારો લોકોએ આસપાસના રજવાડાના વિસ્તારોમાં હિજરત કરવાનુ શરુ કર્યુ. 




(આરઝી  હકુમત દરમિયાન લોકો સાથે સંવાદ)


આરઝી  હકુમતના પ્રધાનમંત્રી શામળદાસ ગાંધી જાણતા હતા કે જૂનાગઢને આઝાદ કરાવવા માટે આર્થિક બહિષ્કાર ઉપરાંત લશ્કર સામે લડવું પડી શકે છે અને આ આરઝી હકુમતની ખરી કસોટી હતી. જૂનાગઢ રાજય તેમજ તેની આસપાસના વિસ્તારોમાં અનેક ખમીરવંતી જ્ઞાતીઓ વસવાટ કરતી હતી. જેમાં ગીરના જંગલ નજીક આવેલા માળીયા હાટીનાના વિસ્તારના હાટી દરબારો, વેરાવળ અને કોડિનાર વિસ્તારના કારડીયા રજપૂત, બિલખા વિસાવદર જેતપુર અને ભેસાણ આસપાસના વિસ્તારોમાં કાઠી દરબારો વસેલા જયારે પોરબંદર અને કુતિયાણા પંથકમાં મેર જેવી જ્ઞાતિના લોકો વસવાટ કરતા જેઓ ખૂબ લડાયક હતા.  આ તમામ જ્ઞાતીઓનુ ખૂબ મોટુ વર્ચસ્વ સ્થાનિક પ્રજા ઉપર હતું.  જેનો લાભ લેવાનુ સૂચન શાળમળદાસ ગાંધીને આપવામાં આવ્યું. આરઝી હકૂમતે આ તમામ વિસ્તારોના યુવાનોને લોકસેનામાં જોડી જૂનાગઢને આઝાદી અપાવવા માટે સ્વયંસેવક તરીકે ભરતી કરવાનું શરુ કર્યું. આરઝી હકૂમતની સ્થાપનાના માત્ર થોડા દિવસોમાં લોકસેનાના સ્વયંસેવકોનો આંક પાંચ હજારને પાર થઈ ગયો હતો. 




(દરબાર સુરગભાઈ વરુ અને ચંદ્રસિંહ ભાડવા ) 


રાજકોટ સ્થિત જૂનાગઢ હાઉસનો કબજો આરઝી હકૂમતે લીધા બાદ લોકોમાં ઉત્સાહ હતો. આરઝી હકૂમતે તમામ વહીવટ રાજકોટથી ચાલુ કર્યો હતો.  લડાયક યુવા સ્વયંસેવકોની થોડા દિવસોમાં સારી સંખ્યામાં ભરતી થયા બાદ તેમને  હથિયાર ઉપલબ્ધ કરાવવા માટે આસપાસના રાજવી પરિવારો પાસે મદદ માંગવામાં આવી અને તેઓએ ખૂબ સારી એવી મદદ કરી હતી. જૂનાગઢની આઝાદી માટેની પહેલ બાબરીયાવાડથી થઈ. બાબરીયાવાડના દરબાર સુરગભાઈ વરુ  જેઓ આરઝી હકૂમતના સંરક્ષણ પ્રધાન હતા.  તેમણે લોકસેનાના સ્વયંસેવકો અને સૈનિકોને તાલીમ આપવા માટે શિબિર યોજી. શિબિરની જવાબદારી ધ્રોળ દરબારે લીધી.  જેમાં ઉપસ્થિત તમામને વિવિધ હથિયારો ચલાવવાનું જ્ઞાન આપવામાં આવ્યું. આ તરફ જૂનાગઢ રાજયના સરહદી વિસ્તારમાં વસતા ગરાસદારોને ભાડવા દરબાર ચંદ્રસિંહે જોડાવા અપીલ કરી અને તેમની મહેનતને પગલે સારી એવી સફળતા મળી. હવે આરઝી હકૂમતે રાજુલા, કુંકાવાવ, જેતપુર, ગરેજ, મેંદરડા, કોડીનાર અને બિલખા સહિતના જૂનાગઢ રાજયના સરહદી સ્થળોએ થાણા સ્થાપવામાં આવ્યા હતા. જૂનાગઢ ચારે તરફથી ઘેરાયુ હતું. શાહનવાઝ ભુટ્ટોની મૂંઝવણ હવે દિવસેને દિવસે વધી રહી હતી.  જૂનાગઢના આર્થિક બહિષ્કારને પગલે રાજયમાં આર્થિક તંગી વધી રહી હતી. કર્મચારીઓને પગાર ચૂકવવાના ફાંફા હતા તો બીજી તરફ સરહદી વિસ્તારોથી અનાજ, કેરોસીન સહિતની જીવન જરુરીયાત વસ્તુઓ આવતી બંધ થતાં રાજયને કઈ રીતે ચલાવવું તેની ચિંતા હતી.




(જૂનાગઢની આઝાદીમાં સાધુ સમાજ જોડાયો હતો)


આરઝી હકૂમતે નવાબના લશ્કરને પહોંચી વળવા માટે સ્વયંસેવક યુવાનો ઉપરાંત  શીખ, ગોરખા તેમજ આઝાદ હિંદ ફૌજના નિવૃત સૈનિકોને પગારદાર તરીકે પણ ભરતી કર્યા. જૂનાગઢની આરઝી હકૂમત હવે માત્ર જૂનાગઢ રાજયના લોકોની નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના લોકોની પ્રચંડ શકિતનું પ્રતિક બની રહી હતી. સૌરાષ્ટ્રના રજવાડા ઉપરાંત લોકોએ આરઝી હકૂમતની પ્રવૃતિને સહકાર આપવાનો શરુ કર્યો. આ લડતમાં જૂનાગઢ રાજ્યના લોકો ઉપરાંત ધાર્મિક સંસ્થાના વડાઓ જેમા મેંદરડા નજીક અલિંધ્રાના બ્રહ્રમચારી બાપુ જૂનાગઢ હવેલીના પુરુષોત્તમદાસજી,  મયારામદાસજી તથા કુતિયાણા આસપાસ વસ્તા  મેર લોકોના મહંત તરીકે ખૂબ નામ ધરાવતા વિજયદાસજી સહિતના સાધુ સંતો જોડાતા લોકોનો સહકાર વધવા લાગ્યો અને જૂનાગઢની આઝાદીની લડત વધુ ઉગ્ર બની. શામળદાસે યુવાનોને હથિયારો ચલાવવા માટેની જવાબદારી લોકસેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણી અને હથિયારોનો હવાલો વાસાવડના દરબાર માર્કંડભાઈ દેસાઈને સોંપ્યો હતો. જૂનાગઢ રાજ્યના આંતરિક પ્રદેશમાં મેર, ખારવા, કાઠી તેમજ હાટી દરબારો જેવી લડાયક કોમના સંગઠક તરીકેનું કાર્ય ગોકુળદાસ ગગલાણી કરતા હતા. જૂનાગઢ રાજયમાંં શું ચાલી રહ્યુ છે તેની જાણકારી મેળવવાની જવાબદારી  દુર્લભજીભાઈ નાગરેચા પર હતી કારણ કે તેઓ માહિતી મેળવવામાં એક્કા હતા.   


(  જૂનાગઢને આઝાદી અપાવવા લોકસેનાએ યુવાનોને તાલિમ આપી અને પ્રથમ દિવસે જ 11 ગામ પર કબજો કર્યો તે અંગે આવતા અંકમાં વાંચીશું ) 


આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?


જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો


નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ


જૂનાગઢના નવાબ મહાબત ખાનના નવાબી ઠાઠમાઠની વાતો વાંચી તમે પણ ચોંકી જશો