મુંબઈમાં આરઝી હકૂમતની સ્થાપનાના ત્રણ દિવસ બાદ પ્રધાનમંડળના સભ્યો સૌરાષ્ટ્રના રાજકોટ આવવા રવાના થયા હતા.  રાજકોટ આવ્યા બાદ તેઓએ જૂનાગઢ હાઉસનને (હાલનું સરદારબાગ અતિથી ગૃહ) કબજે કરી ત્યાં સચિવાલય સ્થાપ્યું હતું. આરઝી હકૂમતનો વહીવટ રાજકોટમાં કબજે કરેલા જૂનાગઢ હાઉસથી શરુ થયો.  લોક જૂવાળ અને નવાબના નિર્ણયને લઈને આરઝી હકૂમતનું પ્રધાનમંડળ અને અન્ય આગેવાનો યોગ્ય રણનીતિ મારફત જૂનાગઢને કઈ રીતે આઝાદી અપાવી શકાય તે માટે મંથન કરે છે.




(રાજકોટ સરદાર બાગ)


આ તરફ જૂનાગઢમાં શાહનવાઝ ભુટ્ટો આરઝી હકૂમતની સ્થાપનાના પાંચ જ દિવસમાં રાજકોટનું જૂનાગઢ હાઉસ ગુમાવ્યાના સમાચારથી વ્યથિત છે. તેઓ પોતાની કચેરીમાં ચિંતામગ્ન સ્થિતીમાં બેઠા છે  ત્યા એક ઉચ્ચ અધિકારી કચેરીમાં પ્રવેશી ભુટ્ટોને સલામ કરે છે. સાહેબ આરઝી હકૂમત વિશે એક મહત્વના સમાચાર આપવા છે. ભુટ્ટોનો ચહેરો ચમકે છે બોલો જનાબ શું માહિતી છે. દિવાનસાહેબ આરઝી હકૂમતના કેબિનેટ સભ્ય પુષ્પાબેન મહેતા છે તેમની મિલ્કત પ્રભાસ પાટણમાં આવેલી છે. પુષ્પાબેન મહેતાના પિતા અને ભાઈ આપણા રાજયના ઉચ્ચ મહેસુલી અધિકારી છે. તેમના પર ભીંસ જો આપણે  વધારીશું તો આપણે ફાયદામાં રહીશું. આરઝી હકૂમતના કેબિનેટ સભ્ય પુષ્પાબેન મહેતાએ મહત્વની કામગીરીથી ભુટ્ટો વાકેફ હતા. ચાલાક  ભુટ્ટો અધિકારીની વાત તુરંત સમજી જાય છે. પુષ્પાબેનના પિતા હરપ્રસાદ દેસાઈ અને ભાઈ શંભુપ્રસાદ દેસાઈ જૂનાગઢ રાજયના મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારી તરીકે કામ કરતા હતા. તેથી જો તેમના ઉપર દબાણ લાવશું તો આરઝી હકૂમતને પગલે રાજયની સ્થિતી જે બગડી રહી છે તેના ઉપર અંકુશ લાવી શકાશે. જૂનાગઢ રાજયની વણસી રહેલી સ્થિતી વચ્ચે અધિકારીએ ખૂબ મહત્વની જાણકારી આપી હોય દિવાન શાહનવાઝ ભુટ્ટોએ અધિકારીને શાબાશી આપી રવાના કર્યા.




(આરઝી હકૂમતના પુષ્પાબેન મહેતા)


હવે ભુટ્ટો જૂનાગઢમાં ઉચ્ચ મહેસુલી અધિકારી તરીકે ફરજ બજાવતા અને જૂનાગઢમાં રહેતા  શંભુપ્રસાદ દેસાઈને પોતાની કચેરીમાં હાજર થવાનુ ફરમાન કરે છે. શંભુપ્રસાદને જાણ કરાતા ભુટ્ટો સમક્ષ હાજર થાય છે. થોડીવારની પ્રતિક્ષા બાદ તેમને ભુટ્ટો બોલાવે છે. શાહનવાઝ ખૂબ આક્રમક અવાજમાં પૂછે છે  મિસ્ટર દેસાઈ આરઝી હકૂમતના સભ્ય પુષ્પાબેન મહેતા આપના બહેન થાય છે ? શંભુપ્રસાદ જવાબ આપે છે હા, ભુટ્ટો  તુરંત કહે છે શું આપ જાણો છો તેઓએ જૂનાગઢ રાજય સામે બળવો કર્યો છે. હા દિવાન સાહેબ, ભુટ્ટો કહે છે તેઓ ભાગ લઈ રહ્યા છે તેથી રાજયને નુકશાન પહોંચી રહ્યું છે. તેથી તમારી પ્રભાસ પાટણની મિલ્કત છે તે હું જપ્તીમાં લેવા માંગુ છું. શંભુપ્રસાદ દેસાઈ જવાબ આપે છે સાહેબ હિન્દુ કાયદા મુજબ લગ્ન બાદ દિકરીનો મિલ્કતમાં તેમનો કોઈ હક્ક હિસ્સો રહેતો નથી અને મારા બહેનના લગ્ન થઈ ગયા છે તેથી આપ મિલ્કત જપ્તી ન કરી શકો. ભુટ્ટો ગુસ્સે ભરાય છે અને કહે છે છે મિસ્ટર દેસાઈ તમે દલીલ બહુ કરો છો. શંભુપ્રસાદ વિનમ્ર ભાવે જવાબ આપે છે સાહેબ હું દલીલ નહીં પરંતુ હકિકત જણાવી રહ્યો છું. આપ કોઈપણને હિન્દુ કાયદા વિશે પૂછી શકો છો. 




(હરપ્રસાદ અને શંભુપ્રસાદ દેસાઈ)


ભુટ્ટો થોડીવાર શાંત થઈ ફરી શંભુપ્રસાદને કહે છે કે મિસ્ટર દેસાઈ રાજયના કર્મચારી તરીકે તમે ગામે ગામ ફરીને લોકોને સમજાવો કે જૂનાગઢનું પાકિસ્તાનમાં ભળવુ ભવિષ્ય માટે સારુ છે. પ્રજામાં જે વિરોધ છે તેને શાંત કરાવો.  શંભુપ્રસાદ દેસાઈ ફરી જવાબ આપે છે સાહેબ હું રાજયના મહેસુલ વિભાગનો કર્મચારી છું.  પ્રજાને સમજાવાનું કામ મારા વિભાગમાં આવતુ નથી. મિસ્ટર દેસાઈ તમે આ રીતે જવાબ ના આપી શકો. સાહેબ જે સાચુ છે તે હું કહુ છું. ભુટ્ટો ગુસ્સામાં શંભુપ્રસાદ દેસાઈને જવાનુ કહે છે. શંભુપ્રસાદના રવાના થતાં ભુટ્ટો તેમના જૂનાગઢ નિવાસસ્થાને માણસો મોકલી વિજળી અને પાણીનુ કનેકશન કપાવી નાંખે છે. શંભુપ્રસાદ દેસાઈના પટ્ટાવાળાએ તાત્કાલિક તેમને જાણ કરે છે કે જૂનાગઢ રાજય સામે બળવાને લઈને તેમના ઘરનું વીજળી અને પાણીનું કનેકશન કાપી નાંખવામાં આવ્યુ છે અને ગમે તે ઘડીએ તેમની  ધરપકડ  થઈ શકે છે. તેથી શંભુપ્રસાદ દેસાઈને જૂનાગઢથી ભાગી જવાની સલાહ આપે છે. શુંભુપ્રસાદ ત્યાંથી તાત્કાલિક  રેલ્વે સ્ટેશન પહોંચી અમદાવાદ માટે રવાના થઈ જાય છે.




(આરઝી હકૂમતના શામળદાસ ગાંધી)


આ તરફ જૂનાગઢને જીતવા માટે આરઝ હકૂમતે બીજો દાવ ખેલ્યો અને એ હતો વેપાર ઉદ્યોગને નબળો પાડવાનો. આરઝી હકૂમતના શામળદાસ ગાંધીએ  જૂનાગઢનો આર્થિક બહિષ્કારની અમલવારી માટે નીતિ ઘડી અને જૂનાગઢનો આર્થિક બહિષ્કાર શરુ થયો. આરઝી હકૂમતે આ કાર્યક્રમને અસરકારક બનાવવા ખૂબ જહેમત ઉઠાવી.  જૂનાગઢ સ્ટેટની આસપાસના ભારતમાં ભળેલા રાજ્યોએ સ્ટેટનો આર્થિક બહિષ્કાર શરુ કર્યો.  સૌરાષ્ટ્ર તેમજ ભારતનાં અનેક મોટા શહેરોમાં જૂનાગઢ બહિષ્કાર સમિતિઓ રચવામાં આવી જેનુ પરિણામ એ આવ્યું કે જૂનાગઢ રાજ્યની આવક દિવસેને દિવસે ઘટવા લાગી. જૂનાગઢ રાજય પાસે વેરાવળ જેવુ સમૃધ્ધ બંદર હતું, તો આફ્રિકા બાદ સિંહોનું એકમાત્ર રહેણાંક એવુ સાસણ ગીરનુ જંગલ હતું. મહેસૂલી આવકમાં જૂનાગઢને સારી એવી આવક આવતી હતી. આમ છતાં જૂનાગઢના આર્થિક બહિષ્કારને પગલે રાજયના તિજોરી હવે ખાલી થવા લાગી હતી. આર્થિક બહિષ્કારને પગલે આસપાસના રજવાડાઓએ જૂનાગઢ રાજયમાં ખાંડ,પેટ્રોલ, કેરોસીન, ઘઉં જેવી જીવન જરુરીયાત ચીજ વસ્તુઓ મોકલવાનું બંધ કરી દીધું. બહારનો સંપર્ક કપાતા જૂનાગઢમાં અનાજની અછત સર્જાઈ. વેપારીઓના વેપાર ધંધા ભાંગવા લાગ્યા. આ પરિસ્થિતી વચ્ચે હિન્દુની સાથે હવે મુસ્લિમોમાં પણ નવાબ સામે રોષ વધતો ગયો. દિવસેને દિવસે રાજયની આવકમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો હતો. રાજયના કર્મચારીઓને પગાર કરવા માટે રુપિયાની અછત વર્તાવા લાગી. પરિણામે  જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ નજીકના પોરબંદર,ગોંડલ અને મોરબી જેવા રાજ્યો પાસેથી લોન મેળવવા પ્રયત્નો કરવાની ફરજ પડી. પરંતુ તેમાં કોઈ ખાસ સફળતા મળી નહિ.  




(મહમદ અલી ઝીણા અને શાહનવાઝ ભુટ્ટો)


જૂનાગઢને આર્થિક મદદ નહીં મળતા દિવાન શાહનવાઝ ભુટ્ટો મુંઝાયા. આ તરફ રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધા બાદ ભારત સરકારે આરઝી હકૂમતની ભલામણને પગલે લશ્કરને મદદ માટે મોકલ્યું જે જૂનાગઢ રાજયની હદ આસપાસ તૈનાત કરવામાં આવ્યું હતું. જૂનાગઢની સીમા ફરતે ભારતીય લશ્કરે ઘેરો વધારી દિધો તે દરમિયાન લશ્કરે શાહનવાઝ ભુટ્ટોએ મહમદ અલી ઝીણાને લખેલો પત્ર પકડી પાડયો. જેમાં ભુટ્ટોએ સ્પષ્ટ લખ્યું હતું કે, જૂનાગઢ સ્ટેટે પાકિસ્તાનમાં ભળવાની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. રાજયમાં રેલવેની રોજની આવક જે રુપિયા 30 હજાર હતી તે આર્થિક બહિષ્કારને લીધે ઘટીને 5 હજારે પહોંચી ગઈ છે. એન્જિનમાં કોલસાને બદલે લાકડાં નાંખીને ચલાવવાની ફરજ પડી રહી છે. જો પાકિસ્તાન તાત્કાલિક આર્થિક મદદ જૂનાગઢને નહીં કરે તો અમારે રાજય કઈ રીતે ચલાવવું તેની ચિંતા વ્યકત કરી હતી.   


(જૂનાગઢ રાજ્યની આર્થિક કમર તોડ્યા બાદ હવે આરઝી હકૂમતે સ્વયં સેવક યુવાનોની ફૌજ ઊભી કરી અને જૂનાગઢના લશ્કર સામે કેવી રણનીતિ અપનાવી તે અંગે આવતા અંકમાં વાંચીશું ) 


જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો


નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ


જૂનાગઢના નવાબ મહાબત ખાનના નવાબી ઠાઠમાઠની વાતો વાંચી તમે પણ ચોંકી જશો