Lok Sabha Election 2024: રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, આગામી 7 મેએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે હવે કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યાં છે. ભાજપ હવે ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં એક પછી એક સભાઓ ગજવશે, આ અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ત્રણ લોકસભા મતવિસ્તારમાં સભાઓ ગજવશે. 


ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજથી ભાજપ ગુજરાતમાં સભાઓ ગજવશે, તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ભાજપ હવે એક્શન મૉડમાં છે, કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચાર માટે ઉતરી રહ્યાં છે, આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ થઇ રહ્યો છે. ત્રણ લોકસભા બેઠક પર અમિત શાહ ચૂંટણી સભા ગજવશે. આજે પોરબંદર, ભરૂચ, પંચમહાલ લોકસભા બેઠક પર અમિત શાહની ચૂંટણી સભાઓ કરશે. વડોદરામાં સાંજે અમિત શાહનો મેગા રૉડ શૉ પણ યોજાશે. પોરબંદર લોકસભા ક્ષેત્રમાં જામકંડોરણામાં જનસભાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. વિજય સંકલ્પ સભામાં અમિત શાહ લોકોને સંબોધન કરશે. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયાના સમર્થનમાં આ સંબોધન કરાશે. ધારાસભ્ય જયેશ રાદડીયાએ જનસભાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૌરાષ્ટ્રના ભાજપના ખેડૂત નેતા, સહકારી આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહેશે. સભા સ્થળે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ ઉપસ્થિત રહેશે. પેટાચૂંટણીના ઉમેદવાર અર્જૂન મોઢવાડીયા પણ ઉપસ્થિત રહેશે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા પણ આ સભામાં ઉપસ્થિત રહેશે. 


રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે.......'


લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ- ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી છુપી નથી. ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી છે. પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.


શું આપ્યો જવાબ 
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઠાકુર સમુદાય - ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- રૂપાલાજીએ તરત જ માફી માંગી લીધી છે. અમે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છીએ અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યાં છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તે અમારી સાથે આવશે. તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે.


જો કે, બીજીબાજુ વિરોધીઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો સંદેશ ઈન્ડિયા એલાયન્સની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહના નિવેદનથી આવ્યો છે. જો કે, આ પહેલા પણ અખિલેશ યાદવ અનેક પ્રસંગોએ ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજને રીઝવતા જોવા મળ્યા છે.


તમને જણાવી દઈએ કે ઠાકુર સમાજે -ક્ષત્રિય સમાજે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ પછી જાણકારોનું કહેવું છે કે આ સમાજ આ વખતે ભાજપનો વિરોધ કરી શકે છે. જો કે, આ સમુદાય હંમેશા ભાજપનો મુખ્ય મતદાર રહ્યો છે. ખાસ કરીને યુપીમાં ઠાકુર સમુદાય ભાજપને વોટ આપી રહ્યો છે.


શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.