ટ્રેન્ડિંગ





Israel-Hamas War: કેરળ કોગ્રેસે પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજી રેલી, શશિ થરૂર સહિત આ મોટા નેતા રહ્યા હાજર
Israel-Hamas War: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે કોંગ્રેસે એક રેલી યોજી હતી

Israel-Hamas War: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે કોંગ્રેસે ગુરુવારે (23 નવેમ્બર) એક રેલી યોજી હતી. કેરળના કોઝિકોડમાં યોજાયેલી પેલેસ્ટાઈન એકતા રેલીમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
રેલી દરમિયાન કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીનો ઠરાવ કહે છે કે અમે પેલેસ્ટાઈનની સાથે છીએ. જ્યારે શશિ થરૂરે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના ઠરાવમાં લખવામાં આવ્યું હતું કે, "CWC મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ અને એક હજારથી વધુ લોકોના નુકસાન પર તેની પીડા વ્યક્ત કરે છે." "CWC પેલેસ્ટિનિયન લોકોના જમીન, સ્વ-શાસન અને સ્વ-સન્માન અને ગૌરવ સાથેના જીવનના અધિકારો માટેના તેના લાંબા સમયના સમર્થનને પુનરાવર્તિત કરે છે."
કોંગ્રેસે શું કહ્યું?
કેસી વેણુગોપાલે કહ્યું હતું કે “અમારો ઠરાવ કહે છે કે અમે પેલેસ્ટાઈનની સાથે છીએ. આપણે મુક્ત પેલેસ્ટાઈન માટે વાટાઘાટોને ટેકો આપવાની જરૂર છે. ભારતે યુએનના ઠરાવ પર એ પ્રસ્તાવ પર મતદાન ના કર્યું જેનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં યુદ્ધવિરામ થઈ શક્યો હોત.
સોનિયા ગાંધીનો ઉલ્લેખ કર્યો
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે પાર્ટી પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ચૂંટણીના કારણે અમે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના મુદ્દા પર બોલી રહ્યા નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીએ 30 ઓક્ટોબરે આ બાબતે એક ઓપિનિયન પીસ લખ્યો હતો. પ્રિયંકા ગાંધીએ પણ પ્રચાર દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે આ મામલે મોદી સરકારની વિદેશ નીતિ ભારતની જૂની વિદેશ નીતિથી અલગ છે. મહાત્મા ગાંધીના દેશે યુએનના ઠરાવ પર મતદાન કર્યું ન હતું. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ગાઝામાં યુદ્ધમાં 14 હજાર 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હમાસના હુમલાને કારણે ઈઝરાયલમાં 1 હજાર 200થી વધુ લોકોના મોત થયા છે.