IND vs ENG: ઈગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં ફરી આ દિગ્ગજની વાપસી, ભજવશે આ ભૂમિકા
IND vs ENG: BCCI આ વખતે વિદેશી ફિલ્ડિંગ કોચની નિમણૂક કરવા માંગતું હતું પરંતુ સમયસર યોગ્ય ઉમેદવાર શોધી શક્યું નથી

IND vs ENG: આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે યોગ્ય વિકલ્પ ન મળવાને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ફરી એકવાર ટી. દિલીપને ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગયા મહિને BCCI એ દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને હટાવ્યા હતા જ્યારે 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો હતો.
BCCI ના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, 'દિલીપ એક સારા કોચ છે જેમણે 2021થી ત્રણ વર્ષ સુધી ટીમની સેવા કરી છે. તે ખેલાડીઓને નજીકથી જાણે છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ જેવા મોટા પ્રવાસ માટે ટીમમાં તેમની વાપસી ફાયદાકારક રહેશે.'
BCCI આ વખતે વિદેશી ફિલ્ડિંગ કોચની નિમણૂક કરવા માંગતું હતું પરંતુ સમયસર યોગ્ય ઉમેદવાર શોધી શક્યું નથી. સૂત્રએ જણાવ્યું હતું કે, આ સમયે નવો ચહેરો લાવવો યોગ્ય રહેશે નહીં અને દિલીપ ખેલાડીઓમાં લોકપ્રિય છે. દિલીપે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલીક મહાન પહેલ કરી હતી. જેમ કે મેચના દિવસે શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવો અથવા કોઈ દિગ્ગજને બોલાવીને મેડલ આપવા વગેરે છે .
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (ઉપ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ઇંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ એટલો સારો નથી
ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામે તેના ઘરે 67 ટેસ્ટ મેચ રમી છે (1932-2022). આ દરમિયાન તેણે ફક્ત 9 ટેસ્ટ જીતી છે, જ્યારે તેને 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 22 મેચ ડ્રો પણ થઈ હતી. એમએસ ધોની (2011-2014)નો કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી ખરાબ રેકોર્ડ છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચમાંથી ફક્ત એક જ જીત મેળવી હતી, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રો રહી હતી.



















