Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Hair Care In monsoon: ચોમાસું લીલોતરી અને શીતલતા લાવે છે. આ ઋતુનો ખરો આનંદ વરસાદમાં ભીંજવાનો છે પરંતુ આ મજા હેરને કેટલીક વખત ડ્રાય કરે છે. તો ચાલો જાણીએ વરસાદના પાણીમાં હેર ભીના થયા બાદ કેવી રીતે વોશ કરવા જેથી તે ડ્રાય ન બને

Hair Care In monsoon: વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ જાઓ તો વાળને સ્વચ્છ પાણીથી ધોઈને સારી રીતે સુકવવા લાભદાયક માનવામાં આવે છે. જો કે દર વખતે શેમ્પૂ કરવું જરૂરી નથી, પરંતુ સ્કાલ્પની સફાઈ અને યોગ્ય કાળજી વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ચોમાસું શીતળતા સાથે હરિયાળી લઇને આવે છે, પરંતુ આ ઋતુ વાળ માટે અનેક સમસ્યાઓ પણ ઊભી કરે છે. ઘણી વખત ઓફિસ, કોલેજ કે બજારમાં જતાં અચાનક વરસાદમાં ભીંજાઈ જવાય છે. ઘરે પહોંચ્યા પછી મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન થાય છે કે વરસાદમાં ભીંજાયા બાદ તરત જ વાળ ધોવા જોઈએ કે તેમને એમ જ સૂકાઈ જવા દેવા જોઈએ?
આ મુદ્દે અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાક લોકો માને છે કે વરસાદનું પાણી સ્વચ્છ હોય છે, તેથી વાળ ધોવાની જરૂર નથી. જ્યારે કેટલાક લોકો તરત જ શેમ્પૂ કરવાની સલાહ આપે છે. પરંતુ હકીકતમાં બંને વાતો દરેક પરિસ્થિતિમાં યોગ્ય નથી.
વરસાદના પાણીમાં ધૂળ, પ્રદૂષણ અને હવામાં રહેલા સૂક્ષ્મ કણો ભળેલા હોઈ શકે છે, જે વાળ અને સ્કાલ્પને નુકસાન પહોંચાડી શકે છે. તેથી યોગ્ય માહિતી જાણવી જરૂરી છે, જેથી વાળની ચમક જળવાઈ રહે અને સ્કાલ્પ પણ સ્વસ્થ રહે.
વરસાદમાં ભીંજાયા પછી વાળ ધોવા જરૂરી છે?
જો તમે માત્ર હળવી ફુવારમાં થોડા સમય માટે ભીંજાયા હો અને વાળ વધારે ભીના ન થયા હોય, તો દર વખતે શેમ્પૂ કરવી જરૂરી નથી. પરંતુ જો વાળ સંપૂર્ણપણે ભીના થઈ ગયા હોય અથવા લાંબા સમય સુધી વરસાદમાં રહ્યા હો, તો ઘરે પહોંચ્યા પછી વાળને સ્વચ્છ પાણીથી જરૂર ધોઈ લેવા જોઈએ.
વરસાદના પાણીમાં રહેલી ધૂળ, ધુમાડો અને અન્ય અશુદ્ધિઓ સ્કાલ્પ પર જમા થઈ શકે છે, જેના કારણે ખંજવાળ, ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
શું દર વખતે શેમ્પૂ કરવું યોગ્ય છે?
વરસાદમાં ભીંજાયા પછી દર વખતે શેમ્પૂ કરવું પણ યોગ્ય નથી. વારંવાર શેમ્પૂ કરવાથી સ્કાલ્પનું નેચરલ ઓઇલ ઓછું થઈ જાય છે, જેના કારણે વાળ સૂકા અને નિર્જીવ દેખાવા લાગે છે.
જો વાળ વધારે ગંદા ન હોય તો માત્ર સ્વચ્છ પાણીથી ધોઈ લેવા પણ પૂરતું છે. જરૂર લાગે ત્યારે જ હળવા અને સલ્ફેટ-ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો વધુ સારું માનવામાં આવે છે.
ભીના વાળને એમ જ છોડવા કેમ ન જોઈએ?
ઘણા લોકો ઘરે આવીને ભીના વાળને માત્ર ટુવાલથી હળવેથી લૂછીને એમ જ છોડી દે છે. પરંતુ લાંબા સમય સુધી વાળ ભીના રહેતાં સ્કાલ્પમાં ભેજ જળવાઈ રહે છે, જેના કારણે ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ઉપરાંત સતત ભેજને કારણે દુર્ગંધ, ખંજવાળ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
વરસાદ પછી વાળની સંભાળ કેવી રીતે રાખવી?
- સૌથી પહેલા વાળને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.
- ત્યારબાદ નરમ ટુવાલથી હળવા હાથે વાળને સુકવો.
- ભીના વાળને જોરથી ઘસશો નહીં, કારણ કે તેનાથી વાળ તૂટી શકે છે.
- વાળ સુકાઈ જાય પછી પહોળા દાંતવાળી કાંસકીનો ઉપયોગ કરો. તેનાથી વાળ ઓછા ગૂંચવાય છે અને તૂટવાની શક્યતા પણ ઘટે છે.
- જો વાળ સૂકા લાગે તો હળવું હેર સીરમ અથવા લીવ-ઇન કન્ડીશનર લગાવી શકાય.
નાની બેદરકારી બની શકે છે મોટી સમસ્યા
ધારો કે કોઈ વ્યક્તિ દરરોજ બાઈક પર ઓફિસ જાય છે અને લગભગ દર બીજા દિવસે વરસાદમાં ભીંજાય છે. જો તે ઘણા દિવસો સુધી વાળને સાફ કર્યા વગર રાખે, તો સ્કાલ્પ પર ગંદકી જમા થવા લાગે છે. પરિણામે ખંજવાળ, દુર્ગંધ, ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાઓ વધી શકે છે.
જ્યારે સમયસર વાળ સાફ કરીને યોગ્ય રીતે સુકવનારા લોકોના હેર તુલનાત્મક રીતે વધુ સ્વસ્થ રહે છે.
ચોમાસામાં વાળને સ્વસ્થ રાખવા માટે સરળ ટીપ્સ
- ખૂબ ગરમ પાણીથી વાળ ધોવાનું ટાળો.
- જરૂર મુજબ અઠવાડિયામાં 2થી 3 વખત હળવા શેમ્પૂનો ઉપયોગ કરો.
- ભીના વાળ બાંધવાની આદત છોડો, કારણ કે તેનાથી સ્કાલ્પમાં ભેજ ફસાઈ રહે છે.
- સંતુલિત આહાર લો અને પૂરતું પાણી પીવો.
- યાદ રાખો કે ડેમેજ હેર, હેર ફોલ્સ, ડ્રાય હેર ઘણીવાર અન્ય બીજી સ્વાસ્થ્ય સમસ્યાના સંકેત પણ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટોપ સ્ટોરી






















