ઉના દલિતકાંડમાં 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવતીકાલે તેમની સજા પર અંતિમ દલીલો થશે.
10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
2016માં ગાયનું ચામડું ઉતારવાના બહાને 4 દલિત યુવાનોને કાર પાછળ બાંધીને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો; દોષિતોને કેટલી સજા થશે તેનો નિર્ણય આવતીકાલે લેવાશે.

સૌરાષ્ટ્રના ઉનામાં 2016 માં બનેલા ચકચારી અને આખા દેશને હચમચાવી મૂકનાર દલિતકાંડમાં આખરે એક દાયકાની લાંબી કાનૂની લડત બાદ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આજે (16 માર્ચ 2026) કોર્ટે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પૂરતા પુરાવાના અભાવે અન્ય 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે કથિત ગૌરક્ષકોએ ગાયની હત્યાનો આરોપ લગાવીને દલિત યુવાનોને કાર પાછળ બાંધીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. હવે આવતીકાલે એટલે કે 17 માર્ચે દોષિતોની સજા પર અંતિમ દલીલો થશે અને ત્યારબાદ સજાની જાહેરાત કરવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો?
11 જુલાઈ 2016 ના રોજ ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં એક અનુસૂચિત જાતિ (દલિત) પરિવારના 7 સભ્યો એક મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. બરાબર એ જ સમયે પોતાને ગૌરક્ષક ગણાવતા કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે એવો પાયાવિહોણો આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને આ પરિવારે ગૌહત્યા કરી છે. બસ આ જ વાત પર તેમણે દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો.
ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી
હુમલાખોરોએ અમાનવીયતા દાખવતા 4 દલિત યુવાનોને અર્ધનગ્ન કરી દીધા હતા અને તેમને એક ઝાયલો (Xylo) ગાડી પાછળ બાંધી દીધા હતા. ત્યારબાદ તેમને લાકડીઓ અને લોખંડના પાઇપથી બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ, આ યુવાનોને ઉના શહેરમાં લાવીને જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને માર મારવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર દેશમાં અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
10 વર્ષ લાંબી કાનૂની લડત અને 5 દોષિતો
જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આ ચુકાદા અંગે માહિતી આપતા જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે FIR નોંધાઈ ત્યારે તેમાં ઘણા બધા આરોપીઓના નામ સામેલ હતા. પરંતુ 10 વર્ષ સુધી ચાલેલી કોર્ટની લાંબી કાર્યવાહી, સાક્ષીઓની જુબાની અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે માત્ર 5 શખ્સોને જ આ ગુનામાં સંડોવાયેલા ગણીને દોષિત જાહેર કર્યા છે.
કોર્ટે જેમને દોષિત ઠેરવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:
રમેશ જાદવ
રાકેશ જોશી
પ્રમોદ ગોસ્વામી
નાગજી ડાયા
બળવંત ગોસ્વામી
સજા અંગે આવતીકાલે નિર્ણય
કોર્ટે આ 5 આરોપીઓને દોષિત તો જાહેર કરી દીધા છે, પરંતુ તેમને કેટલી અને શું સજા થશે તેનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આવતીકાલે 17 માર્ચ 2026 ના રોજ સરકારી અને બચાવ પક્ષના વકીલો સજાની મુદત અંગે કોર્ટમાં પોતાની આખરી દલીલો કરશે. આ દલીલો પૂરી થયા બાદ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે. બીજી તરફ, કેસમાં સામેલ અન્ય 38 આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા છે.
Frequently Asked Questions
ઉના દલિતકાંડમાં કોને દોષિત ઠેરવવામાં આવ્યા છે?
ઉના દલિતકાંડમાં કેટલા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે?
પૂરતા પુરાવાના અભાવે 38 લોકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉના દલિતકાંડ ક્યારે અને કયા ગામમાં થયો હતો?
આ મામલો 11 જુલાઈ 2016 નો છે, જ્યારે ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં દલિત યુવાનો પર હુમલો થયો હતો.
દલિત યુવાનો સાથે શું થયું હતું?
કથિત ગૌરક્ષકોએ દલિત યુવાનોને ગાયની હત્યાના ખોટા આરોપ હેઠળ કાર પાછળ બાંધીને જાહેરમાં માર માર્યો હતો.























