નર્મદાના રાજપીપળામાં ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને વિવાદ સર્જાયો. તેમને પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતા તેઓ ધરણા પર બેસી ગયા.
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: નર્મદાના રાજપીપળામાં ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે

નર્મદાના રાજપીપળામાં ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં ના આવ્યું હોવાનો આક્ષેપ લગાવી ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસી ગયા હતા અને રાજીનામાની ચીમકી આપી હતી, જ્યારે તેમના સમર્થનમાં ઉતરેલા સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા.
મળતી જાણકારી અનુસાર, નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં ભારે હોબાળો સર્જાયો હતો. નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આરોપ લગાવ્યો હતો કે કાર્યક્રમમાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું નહોતું અને તેમનું નામ પણ લેવામાં આવ્યું નહોતું. જેના કારણે તેઓ નારાજ થઈ કાર્યક્રમ સ્થળે જ ધરણા પર બેસી ગયા હતા.
તેઓ સતત અપમાન કરી રહ્યા છે
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વન મંત્રી ગણપત વસાવા સહિતના આગેવાનો હાજર હતા. ધારાસભ્યની નારાજગી બાદ તેમને મનાવવા માટે નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે દર્શનાબેન દેશમુખે જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેઓ સતત તેમનું અપમાન કરી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ આદિવાસી સમાજમાંથી આવતા હોવાથી તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે.
ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ છે, જેના કારણે તેઓ આ પ્રકારે મનમાની ચલાવી રહ્યા છે. સંગઠન દ્વારા ચૂંટણીઓમાં મનફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી અને આવી મનમાનીના કારણે જ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.'
દર્શનાબેન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે જનતાએ તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, છતાં વારંવાર તેમનું અપમાન કરવામાં આવે છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પર સ્વાર્થની રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ કર્યું સન્માન
આ સમગ્ર વિવાદ વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ધારાસભ્યના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ માત્ર એક ધારાસભ્યનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. સાથે જ તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનું રાજીનામું લેવાની માંગ પણ કરી હતી. મનસુખ વસાવાના નિવેદન બાદ નર્મદાની ભાજપની આંતરિક જૂથબંધી અને અસંતોષ ફરી એકવાર જાહેર મંચ પર સામે આવ્યો છે.
Frequently Asked Questions
રાજપીપળામાં ભાજપના કાર્યક્રમમાં શું વિવાદ સર્જાયો હતો?
ડો. દર્શનાબેન દેશમુખે કયા કારણોસર ધરણા કર્યા હતા?
તેમનો આરોપ હતો કે કાર્યક્રમમાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું નહોતું અને નામ પણ લેવાયું નહોતું. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પર અપમાન કરવાનો આક્ષેપ કર્યો.
ધારાસભ્યે જિલ્લા ભાજપ પ્રમુખ પર કયા આક્ષેપો કર્યા હતા?
દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ છેલ્લા બે વર્ષથી તેમનું સતત અપમાન કરે છે. તેમણે આદિવાસી હોવાને કારણે ભેદભાવનો પણ આરોપ લગાવ્યો.
સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના અંગે શું પ્રતિક્રિયા આપી?
મનસુખ વસાવાએ આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ પણ કરી હતી.






















