ગુજરાત પાલિકા ચૂંટણીમાં પાંચ મોટા અપસેટ: રાજકીય સમીકરણો બદલાયા
ગીર સોમનાથમાં વિમલભાઈનો પડકાર, ચોરવાડમાં ભાજપની વાપસી, જૂનાગઢમાં કોટેચા યુગનો અંત, સલાયામાં AAPની એન્ટ્રી, કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય

Gujarat Local Body Election 2025: રાજ્યની તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં પાંચ મોટા રાજકીય અપસેટ સર્જાયા છે, જેણે રાજકીય પંડિતો અને પક્ષોને વિચારતા કરી દીધા છે. આ અપસેટ માત્ર અમુક વ્યક્તિઓ કે પક્ષોની હાર નથી, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા બદલાવનો સંકેત આપે છે.
ગીર સોમનાથમાં વિમલભાઈની ચેલેન્જે કોંગ્રેસને કરી નિરાશ:
ગીર સોમનાથ જિલ્લામાં વિમલભાઈ દ્વારા ઉભા કરાયેલા પડકારે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. વિમલભાઈની મજબૂત ઉમેદવારીના કારણે કોંગ્રેસ અહીં ધાર્યા પરિણામો લાવી શકી નથી. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત, ભાજપનું શાસન:
ચોરવાડ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ભાજપે અહીં શાનદાર વાપસી કરી છે અને પાલિકામાં પોતાનું શાસન સ્થાપ્યું છે. આ પરિવર્તન કોંગ્રેસ માટે મોટો ઝટકો છે, જે લાંબા સમયથી અહીં મજબૂત સ્થિતિમાં હતી.
જૂનાગઢના ગિરીશ કોટેચાના દબદબાનો અંત, પુત્ર પાર્થ કોટેચાની હાર:
જૂનાગઢમાં છ વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. માત્ર ગિરીશ કોટેચા જ નહીં, પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચા પણ આ ચૂંટણીમાં હારી ગયા છે. કોટેચા પરિવારનો આ પરાજય જૂનાગઢના રાજકારણમાં એક યુગના અંત સમાન છે.
દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં AAPની લહેર, ચારેય ઉમેદવારની જીત:
દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)ની લહેર જોવા મળી હતી. વોર્ડ નં 1, 2 અને 3માં AAPના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે. AAPની આ એન્ટ્રી અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે AAP હવે નાના શહેરોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે.
રાણાવાવ- કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય, ઢેલીબેનના શાસનનો અંત:
રાણાવાવ-કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે. કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા ઢેલીબેનના એકહથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે. સમાજવાદી પાર્ટીનો આ વિજય પ્રાદેશિક પક્ષોની વધતી જતી તાકાતનો સંકેત આપે છે.
5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
