સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે.
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ પડ્યો છે. શહેરના વાસણા, જીવરાજપાર્ક, વેજલપુર, પ્રહલાદનગર, મણિનગર, પાલડી, અંજલી, રામોલ, ખોખરા, હાટકેશ્વર, વસ્ત્રાલ, બાપુનગર, સેટેલાઇટ, બોડકદેવ, શિવરંજની, ઇસનપુર, મણિનગર, નારોલ, રામોલ, હાથીજણ, ઓઢવ, રખિયાલ, વટવા, ઘોડાસર, નારણપુરા, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, શ્યામલ, એલિસબ્રિજ, આશ્રમ રોડ, નેહરૂનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં એક કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ શહેરમાં એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે સીટીએમ ચાર રસ્તાથી જશોદાનગર અને ઇસનપુર બ્રિજ સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. 3 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઇનો લાગી હતી. મીઠાખળી અંજરબ્રિજમાં પણ પાણી ભરાયા છે. કેટલાક રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શાહીન વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી દૂર હોવાથી રાજ્યમાં નુકસાન થવાની શક્યતાઓ નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાદરનગર હવેલી, દીવમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 3 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ આવી શકે છે. ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે.