પિતાની સંપત્તિમાં પુત્રીનો હિસ્સો કાયદેસર! ગુજરાત હાઈકોર્ટે કહ્યું: સ્વૈચ્છિક ત્યાગ વગર પુત્રીનો હક્ક સમાપ્ત થઈ શકે નહીં
daughter property rights: ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના ચેનપુર ગામની વારસાગત ખેતીની જમીન સંબંધિત એક કેસમાં હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ હેઠળ પુત્રીના કાયદેસર હક્કને પુનઃસ્થાપિત કર્યો છે.

daughter property rights: ગુજરાત હાઈકોર્ટે પિતાની વારસાગત સંપત્તિમાં પુત્રીના અધિકાર અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, પિતાની સંપત્તિમાં પુત્રીના હક્કનો અંત ત્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી તે સ્વૈચ્છિક રીતે પોતાના હિસ્સા કે હક્કનો ત્યાગ ન કરે. હાઈકોર્ટે અરજદાર પુત્રીના દાવાને રદ કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો હતો. આ મામલામાં પુત્રીના ભાઈઓએ આંતરજ્ઞાતિય લગ્નના કારણે 1987 માં મહેસૂલી રેકર્ડમાં માત્ર પોતાના નામ દાખલ કરાવીને બહેનને વારસદાર તરીકે બાકાત રાખી હતી. કોર્ટે પુરાવા સાંભળ્યા વિના દાવો ફગાવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને ભૂલભરેલો ગણીને, પુત્રીના દાવાને પુનઃસ્થાપિત કરવાનો અને તેનો ઝડપથી નિકાલ કરવાનો આદેશ કર્યો છે.
પુત્રીનો કાયદેસર હક્ક: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના ચેનપુર ગામની વારસાગત ખેતીની જમીન સંબંધિત એક કેસમાં હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ (Hindu Succession Act) હેઠળ પુત્રીના કાયદેસર હક્કને પુનઃસ્થાપિત કર્યો છે. અરજદાર પુત્રીએ તેના પિતાની વારસાગત સંપત્તિમાં પોતાના આઠમા ભાગના હિસ્સા માટે ટ્રાયલ કોર્ટમાં દાવો કર્યો હતો, પરંતુ ટ્રાયલ કોર્ટે મોડેથી દાવો દાખલ થયો હોવાથી સમયમર્યાદાનો બાધ નડતો હોવાનું કારણ આપીને તેને રદ કરી દીધો હતો. જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે આ નિર્ણયને પડકારતી અપીલની સુનાવણીના અંતે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો હતો.
સંબંધ વિચ્છેદ અને વારસાઈમાંથી બાકાત
અરજદાર પુત્રીના જણાવ્યા મુજબ, તેણે પરિવારની ઈચ્છા વિરુદ્ધ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા, જેના કારણે પરિવારજનોએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. અરજદારના પિતાનું 1986 માં નિધન થયું હતું. ત્યાર બાદ જાન્યુઆરી, 1987 માં અરજદારના ભાઈઓએ ઉપરોક્ત જમીનના વારસાઈ હક્ક માટે મહેસૂલી રેકર્ડમાં માત્ર પોતાના નામ જ દાખલ કરાવ્યા હતા અને બહેન (અરજદાર પુત્રી)ના નામને વારસદાર તરીકે બાકાત રાખ્યું હતું. અરજદારના કહેવા મુજબ, તેને તેના નામની કમી વિશે દાયકાઓ સુધી જાણ જ નહોતી.
હક્કનો દાવો અને વેચાણની જાણ
પુત્રીને જૂન-2018 માં જાણ થઈ કે તેના ભાઈઓએ વારસાગત મિલકતનો અમુક હિસ્સો વેચી દીધો છે અને બાકીની જમીન પણ વેચવાનું આયોજન કરી રહ્યા છે. આ જાણ થતાં તેણે પોતાનો કાયદેસર હક્ક-હિસ્સો મેળવવા માટે ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જોકે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સિવિલ જજ દ્વારા કોઈ ટ્રાયલ ચલાવ્યા વિના અને સુઓમોટો લઈને એક તરફી તેમનો દાવો ફગાવી દેવાયો હતો. ટ્રાયલ કોર્ટે દાવો મોડો દાખલ થયો હોવાનું કારણ આપ્યું હતું.
હાઈકોર્ટનો મહત્ત્વનો કાયદાકીય મત
હાઈકોર્ટે કેસની તમામ હકીકતો ધ્યાનમાં લીધા બાદ ચુકાદો આપતા જણાવ્યું કે, અરજદાર પુત્રીને મિલકતમાંથી બાકાત રખાયાની જાણ ક્યારે થઈ, તે હકીકત અને કાયદાનો એક મિશ્ર પ્રશ્ન છે અને તે પુરાવા સાંભળ્યા વિના નક્કી કરી શકાય નહીં. માત્ર એટલા માત્ર કારણસર કે અરજદારને તેના નામની કમીની વર્ષો બાદ જાણ થઈ, તેમ કહીને દાવો પ્રારંભિક તબક્કે ફગાવી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ હેઠળ પુત્રીનો મિલ્કતમાં સહભાગી તરીકેનો હક્ક કાયદેસર રીતે માન્ય છે અને તે પુત્રીના સ્વૈચ્છિક ત્યાગ વિના સમાપ્ત થઈ શકતો નથી.
ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરીને અરજદાર પુત્રી દ્વારા કરાયેલા વારસાગત મિલ્કતના હિસ્સા માટેના દાવાને પુનઃસ્થાપિત કરવાનો અને દાવાનો શક્ય એટલી ઝડપથી નિકાલ કરવા માટે સંબંધિત કોર્ટને આદેશ આપ્યો છે. આ ચુકાદો પુત્રીના વારસાગત હક્કોને મજબૂત કરતો એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે.





















