Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
સતત 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ બાદ છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદનું જોર ઘટ્યું છે.
LIVE

Background
સતત 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ બાદ છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. એ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે 30 જુલાઈથી વરસાદના વધુ એક રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા ફરી ધોધમાર વરસાદ ખાબકશે. ગુરુવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ શરૂ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શુક્રવારથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.
રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 72 તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં નોંધાયો છે, જ્યાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા
મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અને ભરૂચમાં પણ શુક્રવારથી અતિભારે વરસાદ શરૂ થશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ચાર ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં સવા ત્રણ ઈંચ, ડીસામાં 3 ઈંચ, વાવ-થરાદના રાહ તાલુકામાં અઢી ઈંચ જ્યારે લાખણીમાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો તો રાત્રી દરમિયાન મહેસાણામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ
વીજળીના કડાકા ભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સાયન્સ સિટી, એસજી રોડ, વસ્ત્રાપુર, થલતેજ, બોડક દેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં એક-એક જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બોપલ, ઘૂમા, સરખેજ,જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યૂ રાણીપ, આશ્રમ રોડ, દૂધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા,હંસપુરા સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ પૂર્વના ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાટકેશ્વર, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા, નારોલ, રખિયાલ, સીટીએમ, ઈસનપુર, ઘોડાસર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોને તાકીદે સૂચના બહાર પાડી સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવા સૂચના આપી હતી. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવા સૂચના આપી હતી. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 19.19 ઈંચ સાથે 53.31 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે 21 વિસ્તારોમાં તો 20 ઈંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે જેમાં સરખેજ અર્બન હેલ્થમાં સૌથી વધુ 27.55 ટકા અને બોપલમાં 27.28 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું
મહેમદાવાદ અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા ૨૫ ઈંચ જેટલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના પગલે મહેમદાવાદનું કુણા ગામ અને નવું કુણા ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામની સીમમાં આવેલી હજારો વીઘા જમીનમાં ચોમેર 'જ્યાં જુઓ ત્યાં જળ' જેવો ઘાટ સર્જાતાં મોટાપાયે વાવેતર કરેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.
સુરત જિલ્લાના ખેડૂતો થયા પાયમાલ
દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનારાધાર વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કામરેજ તાલુકાના કરજણ ગામના અમીશભાઈએ એક લાખનો ખર્ચ કરીને આશરે ત્રણ વીઘા જમીનમાં કેળનું વાવેતર તો કર્યુ. પરંતુ 24 જુલાઈએ વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતની આશાઓ પર પાણી ફેરવી દીધુ. ત્રણ વિઘામાં ઉભેલ તૈયાર કેળનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થયો. કેળનો પાક નષ્ટ થતા અમીશભાઈને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો. શાકભાજી પકવતા ખેડૂતો પણ કુદરતના કહેર સામે પાયમાલ થયો. સુરેશભાઈ નામના ખેડૂતે ત્રણ વિઘા જમીનમાં લાખોનો ખર્ચ કરીને પરવળ અને ગલકાના પાકનું વાવેતર કર્યુ હતુ. પરંતુ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા આખે આખો પરવળનો પાક અને ગલકા માટે તૈયાર કરેલ માંડવો પણ જમીનદોસ્ત થઈ ગયો. મોંઘા બિયારણ, ખેતમજૂરી, ડીઝલ સહિતના ખર્ચ બાદ કુદરતના મારથી ધરતીપુત્રોને ફરી આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યાં છે.






















